ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યાર સુધી પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા પ્લાઝ્મા થેરાપી અંગે મોટો નિર્ણય લેતા કોરોનાના દર્દીને આપવામાં આવી રહેલી પ્લાઝ્મા થેરાપીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલથી હટાવી દેવામાં આવી છે. AIIMS અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની નેશનલ ટાસ્ક ફોર્સ તથા હેલ્થ મિનિસ્ટ્રીની જોઈન્ટ મોનિટરીંગ ગ્રુપે શનિવારે આ અંગે જાહેરાત કરતા રિવાઈઝ્ડ ક્લિનિકલ ગાઈડન્સ જાહેર કરી હતી.
ICMRનું માનવું છે કે દુનિયાભરમાં દર્દીઓના સારવારના આંકડા પ્લાઝ્મા થેરાપીને અસરકારક થવાના સાબિત કરતા નથી. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2020માં ICMRએ તેના સ્ટડીમાં કહ્યું હતું કે પ્લાઝ્મા થેરાપી કોરોનાની સારવારમાં મદદરૂપ નથી. તેમ છતાં તેને ભારતના ક્લિકિનકલ પ્રોટોકોલથી હટાવવાનો નિર્ણય લેવામાં 8 મહિનાનો સમય લાગ્યો હતો.
અગાઉથી જ વિરોધ થતો હતો
દેશમાં કોરોનાના વધી રહેલા કેસ સાથે પ્લાઝ્મા ડોનરની માંગમાં પણ ઝડપ આવી છે. ત્યાં સુધી કે એક્સપર્ટ્સ પણ કોરોના દર્દી માટે પ્લાઝ્મા થેરાપીની અસરકારકતા અંગે ચિંતિત થઈ જાય છે. અગાઉ પણ મેડિકલ પ્રોફેશનલ્સે પ્લાઝ્મા થેરાપીને અપ્રચલિત દર્શાવી હતી.
શું છે પ્લાઝ્મા થેરાપી?
કોન્વલ્સેન્ટ પ્લાઝ્મા થેરાપી એક એવી પ્રક્રિયા છે,જેમાં ઈન્ફેક્શનથી રિકવર થયેલ વ્યક્તિના શરીરમાંથી લોહી લેવામાં આવે છે. લોહીના પીળા તરલ ભાગને કાઢી નાંખવામાં આવે છે. તેને ઈન્ફેક્ટેડ દર્દીના શરીરમાં ચડાવવામાં આવે છે. થિયરી કહે છે કે જે વ્યક્તિને ઈન્ફેક્શનનો સામનો કરવાનો છે તેના શરીરમાં એન્ટીબોડી બનવા લાગે છે. આ એન્ટીબોડીઝ લોહીમાં ભળીને ઈન્ફેક્ટેડ વ્યક્તિના ઈમ્યુન સિસ્ટમને મજબૂતી આપે છે. તેનાથી ઈન્ફેક્ટેડ વ્યક્તિના ગંભીર લક્ષણ નબળા પડવા લાગે છે અને દર્દીનો જીવ બચી જાય છે.