મુંબઇઃ કોરોના વાયરસની મહામારી દરમિયાન દેશ અને દુનિયામાં અબજો લોકોની આવકમાં જંગી ઘટાડો થયો અને કરોડો લોકોએ નોકરી ગુમાવી છે. જ્યારે બીજી બાજુ વિશ્વભરના ધનવાનોની સંપત્તિ-આવકમાં જંગો વધારો થયો છે. જો આ ધનવાની સંપત્તિમાં વર્ષ 2020માં થયેલ વધારાની રકમનો સદ-ઉપયોગ કરવામાં આવે તો ભારત અને વિશ્વભરમાં ગરીબી દૂર થઇ શકે છે.
ગરીબી નાબૂદી માટે કાર્ય કરતી સંસ્થા ઓક્સફેમ (Oxfam)એ જણાવ્યુ છે કે કોરોના વાયરસની મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ભારતના ધનપતિઓની સંપત્તિમાં 35 ટકાનો જંગી વધારો થયો છે, જ્યારે આ દરમિયાન દેશમાં કોરોડો લોકોની નોકરી-રોજગારી જોખમમાં મુકાઇ અને કરોડો લોકો બેરોજગાર પણ થયા હતા.
Oxfamના રિપોર્ટ ‘ધી ઇનઇક્વાલિટી વાયરસ’માં જણાવ્યુ છે કે, માર્ચ 2020 બાદના સમયગાળામાં ભારતમાં 100 અબજોપતિની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે એટલે કે તેની સંપત્તિ આટલી વધી છે. જો આ રકમનું વિતરણ દેશના 13.8 કરોડ સૌથી ગરીબ લોકને કરવામાં આવે તો તેમાં પ્રત્યેક ગરીબ વ્યક્તિને 94,045 રૂપિયા આપી શકાય છે. તેનાથી દેશમાં ગરીબી કંઇક અંગે ઓછી થશે.
રિપોર્ટમાં આવકની અસાનમાતનો ઉલ્લેખ કરતા જણાવાયુ છે કે મહામારી દરમિયાન મુકેશ અંબાણી એ એક કલાકમાં જેટલી કમાણી કરી છે, તેટલી કમાણી કરવામાં એક બિનકુશળ મજૂરને 10,000 વર્ષ લાગશે. મુકેશ અંબાણીને એક સેકન્ડમાં જેટલી થાય છે તેટલી કમાણી કરવામાં બિન-કુશળ શ્રમિકને 3 વર્ષ વિતી જશે.
રિપોર્ટને વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદની એક દિવસ પહેલા જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ કોરોના વાયરસ મહામારી એ પાછલા 100 વર્ષનું સૌથી મોટુ આરોગ્ય સંકટ છે અને તેને પગલે વર્ષ 1930ની મહામારી બાદ સૌથી મોટુ આર્થિક સંકટ સર્જાયુ છે.
‘ધી ઇનઇક્વિલિટી વાયરસ’ નામના રિપોર્ટ મુજબ આ મહામારીએ ભારત જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાભરમાં અસામનતા વધારી દીધી છે. દુનિયાના સૌથી મોટા 1000 અબજોપતિની સ્થિતિ તો નવ મહિનામાં સુધરી ગઇ છે પરંતુ ગરીબોને કોરોના પૂર્વેની સ્થિતિ પ્રાપ્ત કરવામાં એક દાયક કરતા પણ વધારે સમય લાગશે.