નવી દિલ્હીઃ મોદી સરકાર ગરીબ લોકોના મોનો કોળિયુ છિનવી લેવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી રાશનની દુકાનેથી રાહતદરે મળતુ અનાજ હવે મોંઘુ થવાની શક્યતા છે. દેશમા ગરીબ લોકોને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાહતદરે ઘઉં અને ચોખાનું બજાર કરતા અત્યંત ઓછા ભાવ વિતરણ કરે છે. હાલ દેશમાં 80 કરોડ લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહતદરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. આ અનાજનું વિતરણ રાશનની દુકાન મારફતે કરાય છે. હવે રેશનિંગનું અનાજ મોંઘુ થવાની શક્યતા છે.
આર્થિક સર્વેક્ષણ-2021માં સરકારને રાહતદરે વિતરણ કરાતા અનાજના ભાવ વધારવાની ભલામણ કરવામાં આવી છે. કારણ કે, સરકાર ઉપર ખાદ્ય સબસિડીનો જંગી બોજ છે અને તે ઘટાડવાની જરૂર છે.
સરકારે વર્ષ 2020ના બજેટમાં જાહેર વિતરણ યોજના અને કલ્યાણકારી યોજનાઓ માટેની ખાદ્ય સબસિડી માટે 1,15,569.68 કરોડ રૂપિયાની ફાળવણી કરી હહતી.
દેશમાં હાલ 80 કરોડ લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહતદરે અનાજનું વિતરણ કરાય છે. હાલ રાશનની દુકાનો મારફતે રાશનકાર્ડ ધારકોને 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા, બે રૂપિયા પ્રતિ કિલોના ભાવ ઘઉં અને એક રૂપિયા પ્રતિ કિલોના ભાવ બરછટ અનાજનું વિતરણ કરાય છે. ખાદ્ય સબસિડીને ઓછી કરવા માટે કેન્દ્રીય વેચાણ ભાવમાં સંશોધન પર વિચારણા કરવાની જરૂર છે. કેન્દ્રીય વેચાણ ભાવ એ ભાવ છે જેમાં રાશનકાર્ડ ધારકોને રાહત દરે અનાજનું વિતારણ કરાય છે.