ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મુખ્યત્વે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ દેખાઈ રહ્યો છે આવા સમયે કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમીના વધતા જતા પ્રભાવ સામે ભાજપ ગભરાઈ ગયું છે અને આપ ના કવરેજ રોકવા મિડિયા ને ધમકાવવામાં આવી રહ્યું છે.
કેજરીવાલે વડાપ્રધાન કાર્યાલયમાં સંચાર અને આઈટી પ્રમુખ હિરેન જોશી સામે ગંભીર આરોપો લગાવી જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સલાહકાર અને PMOમાં OSD એવા હિરેન જોશી ગુજરાતની અનેક સમાચાર ચેનલ્સના માલિકો અને એડિટર્સને ‘આપ’નું કવરેજ ન કરવા માટે ચેતવણી આપી રહ્યા છે.
સાથે જ કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે, હિરેન જોશી ચેનલના માલિકો અને એડિટર્સને તેમના સમાચારોમાં ‘આપ’ને સ્થાન આપવા બદલ નારાજગી જાહેર કરી અપશબ્દ મોકલી રહ્યા છે.
કેજરીવાલના કહેવા પ્રમાણે અનેક મોટી ચેનલ્સના માલિકો અને એડિટર્સે તેમને હિરેન જોશી દ્વારા મોકલવામાં આવેલા અપશબ્દો દેખાડ્યા હતા. સાથે જ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, ચેનલના માલિકો-એડિટર્સને સમાચારમાં કેજરીવાલને બતાવશે તો જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી. કેજરીવાલના કહેવા પ્રમાણે મીડિયા હાઉસને એમ કહેવામાં આવ્યું છે કે, ‘કેજરીવાલને દેખાડવાની જરૂર નથી, તમે તમારી ચેનલનો દુરૂપયોગ કરી રહ્યા છો
કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે હિરેન જોશીએ જે કથિત અપશબ્દો મોકલેલા તેના સ્ક્રીનશોટ લેવામાં આવેલા છે અને તેમની ધમકીના કોલ રેકોર્ડ કરવામાં આવેલા છે. કેજરીવાલે ભાજપને સલાહ આપતા કહ્યું હતું કે, ‘મીડિયાને ધમકી આપવાનું બંધ કરો.
હું આજે હિરેન જોશીને કહેવા માંગુ છું કે, તમે જે ધમકીઓ આપી રહ્યા છો, જો કોઈએ તેનો સ્ક્રીનશોટ કે કોલ રેકોર્ડ સોશિયલ મીડિયામાં મુકી દીધા તો તમે અને વડાપ્રધાન કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો.
આ રીતે મીડિયાને ધમકાવવાનું બંધ કરો.’
આમ, કેજરીવાલે કરેલા આ દાવા ને લઇ ભારે ચર્ચા ઉઠવા પામી છે.