ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વચ્ચે ફરી કોરોના વાયરસના કેસો એકાએક વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. આ વખતે પણ મહારાષ્ટ્ર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યુ છે અને સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ફરી લોકડાઉન લાગુ કરવાનું નોબત આવી પડી છે. મહારાષ્ટ્રમાં કોરોના ખતરનાક સ્થિતિ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકોના આવનજાવન પર અંકુશ લાગવાની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે કોરોના વાસ્તવમાં ખતરનાક સ્થિતિ પર પહોંચી રહ્યો છે. ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે ચર્ચા બાદ સખ્ત પગલાંઓની જાહેરાત કરવામાં આવી શકે છે.
તેમણે સંકેત આપ્યા કે, જરૂર પડી તો કેટલાંક જિલ્લાઓમાં પ્રતિબંધો લાગી શકે છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જિલ્લા કલેક્ટરોને લોકડાઉન લગાવવાનો અધિકાર આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે લોકોએ નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું પાલન નહીં કરનારાઓ પર દંડ વધારવો પડશે. મહારાષ્ટ્ર એ રાજ્યોમાંથી છે જ્યાં છેલ્લાં ઘણાં દિવસોથી સંક્રમણ સતત વધી રહ્યું છે, જ્યારે લાંબા સમય સુધી તેમાં ઘટાડો આવી રહ્યો હતો, પરંતુ કોરોનાકાળના પૂરા એક વર્ષમાં પણ મહારાષ્ટ્રમાં કોરોના કેસોના મામલે આગળ રહ્યું.
જનતાને જવાબદાર ઠેરવ્યાની સાથે રાજેશ ટોપેએ સરકારની ઢીલાઈની વાત પણ માની. તેમણે કહ્યું કે, ‘લોકોએ કોરોનાને હળવાશથી લીધો છે. કોઈના મનમાં કોઈ ગંભીરતા જ નથી. નિયમોના પાલનને લઈને સરકારી તંત્રમાં પણ ઢીલ હતી.’ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલના સપ્તાહમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે અને શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ નોંધાયા સૌથી વધુ ૧૧,૧૪૧ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ સૌથી વધુ એટલે કે ૧૧,૧૪૧ કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં પણ ૨૮ ઓકટોબર બાદ પ્રથમ વાર એક જ દિવસમાં ૧,૩૬૧ કેસ નોંધાયા હતા. આ પહેલા ૨૮ ઓકટોબરે મુંબઈમાં ૧૩૫૪ કેસની નોંધ થઈ હતી.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૫૨,૪૭૮ ના મોત નિપજ્યાં
રાજ્ય પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ ૨૨,૧૯,૭૨૭ કોરોનાના કેસ નોંધાયા છે જેમાંથી ૨૦,૬૮,૦૪૪ લોકો કોરોના મુક્ત થયા છે. જ્યારે ૫૨,૪૭૮ જણના મૃત્યુ થયાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૮ જણના કોરોનાને લીધે મૃત્યુ થયાં છે જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં ૩,૩૩,૫૬૯ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૧૧,૫૦૪ જણના મૃત્યુ થયા છે. મુંબઈમાં ૨૪ કલાકમાં ચાર દરદીનાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં ફરીથી વધતા કોરોનાના કેસને લીધે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય ટીમને સ્થિતિની સમીક્ષા કરવા અને મદદરૂપ બનવા મહારાષ્ટ્રમાં મોકલી છે.