રાજ્ય સરકાર દ્વારા નિયમો વિરુદ્ધ ચાલતી હોસ્પિટલ સામે કૂણુ વલણ રાખવા મુદ્દે નામદાર સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનારા હોસ્પિટલવાળા ને તક આપવા બદલ ગુજરાત સરકાર ની ઝાટકણી કાઢી હતી.
રાજ્યમાં બી.યુ તથા ફાયર NOC વિનાના ગેરકાયદેસર બાંધકામ સામે અમુક શરતોમાં સરકાર કોરોનાની સ્થિતિ છે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરે તેવા જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમકોર્ટે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, બિલ્ડિંગ યુજ પરમીશન એટલે કે બી. યુ પરમીશન વગર હોસ્પિટલો કેવી રીતે ચાલી શકે? કોર્ટે વધુમાં ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે, રહેઠાણના મકાનમાં હોસ્પિટલો ચલાવવી એ ગેરકાયદે છે અને જનતા ના જીવ જોખમમાં મૂકવા બરાબર છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે ગત તા. 8મી જુલાઈ 2021ના રોજ જાહેરનામું બહાર પાડયુ હતું કે, ગેરકાયદેસર બાંધકામ, બી. યુ પરમીશન વગરના તેમજ ગેરકાયદેસર બાંધકામની સામે સરકાર કોઈ પગલાં નહીં લે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 122નો દુરુપયોગ કરી ગુજરાત કોમપ્રિહેંસીવ ડેવલપમેંટ કંટ્રોલ રેગ્યુલેશનને નેવે મૂકી આ જાહેરનામું 8મી જુલાઇ 2021ના રોજ બહાર પાડેલું છે, જેના પર હવે સુપ્રીમ કોર્ટ સ્ટે આપે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ટીકા કરતાં કહ્યું કે, મેડિકલ એસોશિએનની અરજીમાં એક હોસ્પીટલ તો છેક 38 વર્ષથી ગેરકાયદેસર બી. યુ. પરમીશન વગર ચાલે છે! ગુજરાત સરકારે કાયદાનું પાલન કરવું જોઈએ અને સરકારના સોલિસિટર જનરલને સૂચના આપી કે તેઓ રાજ્યની દરેક ગેરકાયદેસર હોસ્પીટલ તેમજ ફાયર સેફટી અંગે સોગંદનામું કોર્ટમાં રજૂ કરે.
આમ ગુજરાત સરકાર ના જાહેરનામા ઉપર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકાતા ગેરકાયદે હોસ્પિટલ ધરાવતા માલિકો ફફડી ઉઠ્યા છે.
Thursday, May 2