મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે સવારે ઓટો રિક્ષા અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં રિક્ષાનો ચાલક અને તેમાં બેઠેલી 12 મહિલાઓનો સમાવેશ છે. તમામ મહિલાઓ આંગણવાડીમાં સ્કૂલનાં બાળકો માટે રસોઇ બનાવી પરત ફરી રહી હતી. અકસ્માતમાં 9 મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પણ મૃત જાહેર કરવામાં આવી હતી.
અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓટો ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો.
આ ઘટના ને નજરે જોનારા એક વ્યક્તિ એ જણાવ્યું હતું કે
અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર તમામ 12 મહિલાઓ બે રિક્ષા માં પરત ફરી રહી હતી પરંતુ રસ્તામાં એક ઓટો રિક્ષા બગડી હતી, બાદમાં તેમાં બેઠેલી મહિલાઓ એકજ ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી. તેમણે નક્કી કર્યું હતું કે તે જૂની છાવણીથી બીજી ઓટો રિક્ષા કરી લઈશું. પરંતુ કદાચ મૃત્યુએ જ તેમને એક ઓટો રિક્ષામાં સમાવી દીધી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી શિવારાજસિંહે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
Sunday, May 19