અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. જોકે હજી આ વાવાઝોડાનું કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.
તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી.
શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?
વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે. જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.