નવી દિલ્હીઃ ચક્રવાત તાઉતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબાહી વેરી ગયું છે. તો ભારતીય હવામાન ખાતા(IMD)એ વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના ઉત્તર મધ્ય ઉપર લો પ્રેશર બની રહ્યું છે જેને લીધે 23-24 મેના રોજ આ સાયક્લોનમાં ફેરવાઈ જશે.આવનાર દિવસોમાં જો આ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેને ‘યસ’ (Yaas) કહેવામાં આવશે. આ નામ ઓમાને આપ્યું છે.
આગામી સપ્તાહે બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણવાળો વિસ્તાર બનવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઇએમડીના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તાર વધીને સાયક્લોન બની શકે છે. IMDના સુનિતા દેવીના જણાવ્યા અનુસાર અમારા સીમાવિસ્તારમાં આવતા સત્તાવાર રીતે પૂર્વાનુમાનોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે.
અન્ય એક ચક્રવાતી તોફાન ના સ્પેશિયલ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે 23-24 મેના રોજ સાયક્લોન બન્યા બાદ 27થી 29 મે વચ્ચે લેન્ડફોલનું કારણ બની શકે છે. આ સાયક્લોનની અસર આંદામાન નિકોબાર ટાપુઓ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ સમયે હવાની ગતિનું અનુમાન 140થી 150 કિલોમીટરની આસપાસ વ્યક્ત કરવામાં આવ્યું છે.
સુનિતા દેવીએ આ વાત પર પણ ભાર મુક્યો છે કે દરિયાની સપાટીનું તાપમાન SST બંગાળની ખાડીના તાપમાન કરતા 31 ડિગ્રી વધુ છે જે સામાન્ય તાપમાનથી 1-2 ડિગ્રી ઉપર છે. આ પરિસ્થિતિ એવી છે જેનાથી ચક્રવાતી તોફાન બનવા માટે અનુકૂળ છે.