દેશમાં દર વર્ષ કરતા ચોમાસુ એક સપ્તાહ મોડું છે પરંતુ હવે તે સંપૂર્ણપણે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચી ગયું છે અને કહી શકાય કે ચોમાસાની જમાવટ જામી પડી છે અને લગભગ સાર્વત્રિક વરસાદનો માહોલ છે.
દેશના પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમી રાજ્યોમાં 4 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે.
આગામી 24 કલાકમાં 18 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
જોકે,બે દિવસમાં આઠ રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે 33 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં મંગળવારે રાત્રે વરસાદના કારણે એક મોટો ખડક ધરાશાયી થઈ હતી. જેના કારણે મહાબળેશ્વર-પોલાદપુર રોડ બંધ થઈ જતા મોડી રાત્રે શરૂ થયેલી કાટમાળ હટાવવાની કામગીરી હજુ ચાલુ છે. ગઈકાલે મહાબળેશ્વરમાં 72 મીમી વરસાદ નોંધાયો હતો.
તેમાંથી હિમાચલ પ્રદેશમાં 9, મુંબઈમાં 6, રાજસ્થાનમાં 6, હરિયાણા અને પંજાબમાં 2-2 મૃત્યુ થયા છે. ઉત્તરાખંડના અલમોડામાં મંગળવારે 16 અને 17 વર્ષની ઉંમરના ભાઈ-બહેનો વહેતી નદીમાં તણાઈ ગયા હતા. છત્તીસગઢમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે. દિલ્હીમાં વીજળી પડવાથી 1 મહિલાનું મોત થયું છે.
હિમાચલના મંડી જિલ્લામાં 48 કલાકના ગાળામાં ભૂસ્ખલનની બે ઘટનાઓ બની છે. જેના કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 બે જગ્યાએ કલાકો સુધી બંધ રહ્યો હતો. આ માર્ગ પરનો જામ 20 કલાક બાદ ખુલ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે લગભગ 301 રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં 43 રસ્તાઓ બંધ છે.
હવામાન વિભાગે હિમાચલમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
આમ,દેશભરમાં ચોમાસુ સક્રિય થયું છે અને ગતિ પકડી લીધી છે.
Wednesday, May 15