કોલકાતા: દેશમાં હાલ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ છે અને દેશભરમાં હાલ આ મુદે વિવિધ ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે ત્યારે પશ્વિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આ મુદે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સાતારામ યેચુરી સાથે વાત કરી નોટો પરના પ્રતિબંધ અંગે રાષ્ટ્રપતિને મળવા જવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ અંગે અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી નોટોના મુદે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરીને તે અંગે તેમને રજૂઆત કરવા જવાની વાત કરી છે.તેમણે જણાવ્યું કે આમ આદમી અને ગરીબોની સુવિધા માટે અમે સાથે મળીને લડીશું. અને રાજનૈતીક અવ્યવસ્થા સર્જાતી અટકાવીશું. તેમણે જણાવ્યું હતું કે સીપીએમ સાથે અમારે ભલે વૈચારિક મતભેદ હોય પરંતુ નોટો પરના પ્રતિબંધના મુદે અમે તેમની સાથે કામ કરવા તૈયાર છીએ.
તેમના આ નિર્ણયને આશ્વર્યકારક માનવામાં આવે છે. મમતાએ જણાવ્યું હતું કે અમે દેશને બચાવવા સીપીઆઈ(એમ), કોંગ્રેસ, એસપી, બીએસપી સાથે મળીને પણ લડત ચલાવવા તૈયાર છીએ. તેમણે સરકારના આવા નિર્ણયને તાનાશાહી સમાન ગણાવી જણાવ્યું હતું કે ગરીબ જનતાની વિરોધી આ સરકારને સત્તા પર રહેવાનો કોઈ હક નથી. તેમણે સરકારના આ નિર્ણયને જનતા સાથે વિશ્વાસઘાત સમાન ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય અંગે સત્તાધારી પાર્ટીના કેટલાક લોકોને જાણકારી હતી. અને અચાનક આવી જાહેરાત થયા બાદ બેન્કોમાં નોટો જમા કરાવવા અંગે સરકાર તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી અનેક લોકો ભારે મુસીબત અનુભવી રહ્યા છે.