પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે તો જનતા ને રાહત મળી શકે છે અને ડીઝલ માં ભાવ ઘટતા ટ્રાન્સપોર્ટેશન સસ્તું થવાથી અનાજ-કઠોળ-તેલ અને જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો પણ ઘટી શકે પરંતુ બુધવારે ભાજપ નેતા સુશીલ મોદીએ રાજ્યસભામાં એક મોટું નિવેદન આપી જનતા ની આ આશા ઉપર 8 થી 10 વર્ષ માટે પાણી ફેરવી દીધુ છે.
સુશીલ મોદીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવું 8થી 10 વર્ષ સુધી શક્ય નથી. જો GST હેઠળ તે લાવવામાં આવે તો રાજ્યોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોની તિજોરીમાં રૂપિયા 5 લાખ કરોડ આવે છે. આ નિવેદન નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તરફથી પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં રાહત આપવાની આશાને ખતમ કરાનાર છે. સીતારમણે મંગળવારે કહ્યું હતું કે GST કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ GST હેઠળ લાવવાની ચર્ચા થશે.
SBIના અર્થશાસ્ત્રીઓ તરફથી આવેલા અહેવાલ પ્રમાણે જો પેટ્રોલ અને ડીઝલને GST અંતર્ગત લાવવામાં આવે છે તો દેશમાં પેટ્રોલની કિંમત રૂપિયા 75 અને ડીઝલની કિંમત રૂપિયા 68 થઈ શકે છે. એટલે કે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 15થી 30 અને ડીઝલમાં પ્રતિ લીટર 10થી 20 રૂપિયા ઘટાડો થઈ શકે છે.
SBIના અહેવાલ પ્રમાણે GST લાગૂ થયા બાદ ક્રુડ ઓઈલની કિંમત પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો કેટલી રહેશે તે અંગે અંદાજ મુકવામાં આવે તો જો ક્રુડની પ્રતિ બેરલ 60 ડોલર છે તો પેટ્રોલ રૂપિયા 75 અને ડીઝલ રૂપિયા 68 પ્રતિ લીટર ભાવથી મળશે. અત્યારે ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 63 ડોલર છે.
કોરોનાની અસર ક્રુડ ઓઈલની કિંમત પર થઈ છે. આશરે છ સપ્તાહ બાદ બ્રેંડ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 60 ડોલર આસપાસ આવી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં ક્રુડની ઓઈલની કિંમતમાં 11 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગયા વર્ષની તુલનામાં માર્ચ,2020માં ક્રુડની કિંમત પ્રતિ બેરલ 25 ડોલર થઈ હતી, જે અત્યારે 63 ડોલર પ્રતિ બેરલ છે પણ જનતા ને તેનો લાભ મળી શકતો નથી.