બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સોમવારે ચાર દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બંને દેશોનું મુખ્ય ધ્યાન કનેક્ટિવિટી, ઊર્જા, ખાદ્ય સુરક્ષા તેમજ વેપાર અને રોકાણની તકો પર રહેશે.
શેખ હસીના પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે. ઉપરાંત, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે. બંને વડા પ્રધાનો વચ્ચેની વાતચીત દરમિયાન પેન્ડિંગ અને નિયમિત દ્વિપક્ષીય મુદ્દાઓ સિવાય દક્ષિણ એશિયામાં સંરક્ષણ સહયોગ અને સ્થિરતા મુખ્ય ફોકસ ક્ષેત્ર હશે. સૂત્રોનું કહેવું છે કે હસીના ભારતથી નેપાળ અને ભૂટાનમાં ખાદ્ય સામગ્રી, સામાન મોકલવાની પરવાનગીની માંગ કરી શકે છે. મહેમાન પીએમ અજમેરની મુલાકાતે જાય તેવી શક્યતા છે.
મહત્વનું છેકે વર્ષ 2019 પછી હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, રાજકીય ઇતિહાસ, ભાષા અને ધર્મ વગેરેમાં ઘણી સમાનતાઓ છે. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હોવા છતાં બંને દેશો વચ્ચેના સંબંધો બહુ ગાઢ કે વિવાદ મુક્ત રહ્યા નથી.
જોકે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકા મુલાકાત બાદ દેશો વચ્ચેના સંબંધો થોડા સુધર્યા છે અને પાછલા વર્ષોમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી અને આર્થિક ક્ષેત્રે અનેક કરારો થયા છે. PM મોદી અને શેખ હસીનાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત અને બાંગ્લાદેશે સંરક્ષણ, સુરક્ષા, શક્તિ અને ઉર્જા, કનેક્ટિવિટી, વાણિજ્ય, સાંસ્કૃતિક વિનિમય, વિકાસ સહકાર, વેપાર, જમીન અને દરિયાઈ સીમાંકન સહિતના ઘણા ક્ષેત્રોમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે.