લખનઉઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. જેમાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિપક્ષ પાર્ટી સામે આકરાં વલટવાર કર્યા છે. વૈશાલીમાં ચૂંટણી જનસભાને સંબોધતા યોગીએ કહ્યુ કે, કોઇના કહેવા પર ફતવા જારી કરી ત્રણ તલાક જેવી કુપ્રથાનું સમર્થન કોંગ્રેસ અને રાજદના લોકો કરતા હતા. એટલુ જ નહીં આ લોક નાક રગડીને તેમની પાસે જતા હતા.
યોગીએ સ્પષ્ટ કહ્યુ કે, હવે સમય બદલાઇ ગયો છે, દેશ ફતવા મુજબ નહીં સંવિધાન અનુસાર ચાલશે. તેમણે જનમેદનીને પુછ્યુ કે, તમે જ જણાવો કે દેશ ફતવાથી ચાલશે કે સંવિધાનથી? સિવાન, વૈશાલી અને મધુબનીના વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરવા પહોંચેલા યોગી આદિત્યનાથે કહ્યુ કે, કોંગ્રેસ અને રાજદ ફરીથી જંગલરાજ લાવવા ઇચ્છે છે. બિહાર પોતાની યુવાન પેઢીની શક્તિ અને પ્રતિભા માટે જાણીતું છે. ભાજપે કાશ્મીરમાં વિવાદીત કલમ-370 હંમેશા માટે સમાપ્ત કરી દીધી અને હવે આ દેશની ધરતી પરથી નક્સલવાદને નાબૂદ કરીને દેખાડશે.
મુખ્યમંત્રી યોગીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાનો રંગ દેખાડ્યો હતો. કટ્ટરવાદીઓની વિરુદ્ધ સીધો હુમલો કરી યોગીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ઉત્તરપ્રદેશ હોય કે ફરી બિહાર ભાજપ પોતાના મૂળભૂત એજન્ડા પર હજી પણ મક્કમ છે. ભલે પછી તે કલમ-370 હોય કે યુપી અને બિહારમાં કટ્ટરવાદીઓની તાકો અને તેમના સ્થાપિત હિતોને નાબૂદ કરવા હોય. યોગીએ ફતવા અને ધર્મની રાજનીતિ કરી યુપી, બિહાર કે ફરી દેશમાં શાંતિ ડોહળાવવાની કોશિશ કરનારને આક્રમક ચેતવણી આપી છે.