ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર એ હાહાકાર મચાવ્યો છે અને લાખો લોકો મોત થયા છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ જાણીતા વાયરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે એવો દાવો કર્યો છે કે, બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે પણ તેનુ પ્રમાણ પહેલી લહેરના મુકાબલે બહુ ધીમુ છે. અત્યારથી એવુ પણ કહી શકાય નહીં કે આપણે કોરોનાની બીજી લહેરના પીક પર પહોંચી ગયા છે.
તેમણે દાવો કર્યો હતો કે, બીજી લહેરને ખતમ થતા જુલાઈ સુધીનો સમય લાગી શકે છે. કારણકે કેસ ઘટાડાની ઝડપ બીજી લહેરમાં બહુ ધીમી રહેવાની છે. એક ઓનલાઈન કાર્યક્રમમાં ડો.જમિલે કહ્યુ હતુ કે, કોરોનાની લહેર અત્યાર તેની ચરમસીમાએ છે તેવુ કહેવુ પણ ઉતાવળભર્યુ હશે. ગ્રાફ નીચેની તરફ આવતા હજી વાર લાગશે. શક્યતા છે કે, બીજી લહેર સામેની લડાઈ લાંબી ચાલે અને જુલાઈ સુધી આ લહેર ચાલે.
તેમણે કહ્યુ હતુ કે, પહેલી લહેર વખત કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો પણ બીજી લહેરમાં રોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દી સંક્રમિત થઈ રહ્યા હોવાથી કેસ ઓછા થવામાં પણ સમય લાગશે. મારી દ્રષ્ટિએ તો ભારતમાં થઈ રહેલા મોતનો આંકડો પણ વાસ્તવિકતા કરતા ખોટો છે.
ડો.જમિલે કહ્યુ હતુ કે, લોકોએ વાયરસને સંક્રમણ ફેલાવવાનો મોકો તો આપ્યો જ હતો પણ કોવિડ પ્રોટોકોલનુ પાલન નહીં કરીને સંક્રમણનો પ્રસાર કરવામાં મદદ કરી હતી. ડિસેમ્બર સુધી બધા એવુ માનતા હતા કે, ભારતે કોરોના સામે ઈમ્યુનિટી મેળવી લીધી છે એટલે સંક્રમણ ફેલાય તે રીતે લગ્નો થયા હતા, ચૂંટણીની રેલીઓ થઈ હતી અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ફેબ્રઆરી સુધી તો ભારતમાં વેક્સીન મુકાઈ હોય તેવા લોકોની સંખ્યા પણ માંડ બે ટકા હતી.