ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમો પડ્યો છે અને નવા સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા ઘટી રહી છે તો સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. જો કે દરરોજ 4000થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓના મોત હજી ચિંતાનો વિષય છે.
કોરોના વાયરસને કારણે દેશમાં મંગળવારે પૂરાં થયેલા છેલ્લા 24 કલાકમાં દેશમાં એક જ દિવસમાં 4329 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના નવા 2.63 કેસો નોંધાયા છે જે છેલ્લા 28 દિવસમાં સૌથી નીચલા સ્તર પર છે. છેલ્લે આટલા ઓછા કેસ 20મી એપ્રીલે નોંધાયા હતા જે બાદ આંકડો ત્રણ લાખ અને પછી ચાર લાખને પાર ગયો હતો. જ્યારે કુલ કેસોનો આંકડો 2.52 કરોડને પાર પહોંચ્યો છે.
નવા કેસો ઘટવાને કારણે એક્ટિવ કેસ પણ ઘટીને હવે 33.53 લાખે પહોંચ્યા છે જે કુલ કેસોના 13.29 ટકા છે. બીજી તરફ રિકવરી રેટ વધવા લાગ્યો છે અને હવે તે 85.60 ટકાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં પહેલી વખત દેશમાં ચાર લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવીને સાજા થયા છે. એટલે કે નવા કેસો ત્રણ લાખની નીચે ગયા છે અને સાજા થયેલાની સંખ્યા બમણી ચાર લાખથી પણ વધુ નોંધાઇ છે.
કોરોનાની બીજી લહેરમાં ડોક્ટરોનો પણ ભોગ લેવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ) દ્વારા જારી આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દેશમાં 270 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે. આ ડોક્ટરોમાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો કેકે અગ્રવાલનો પણ સમાવેશ થાય છે જેઓ એક સપ્તાહથી વેન્ટિલેટર પર હતા અને મંગળવારે જ જીવ ગુમાવ્યો છે.
બીજી લહેરમાં બિહારમાં સૌથી વધુ 78 ડોક્ટરોના મોત થયા છે. જ્યારે 37 ડોક્ટરો સાથે ઉત્તર પ્રદેશ બીજા અને 29 સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે આંધ્રનો સમાવેશ થાય છે કે જ્યાં 22 ડોક્ટરોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જોકે પહેલી લહેરમાં 748 ડોક્ટરોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.