મુંબઇઃ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઉમાં જીત હાથવેંત છે. આ દરમિયાન ભારત માટે વધુ એક ખુશખબર આવ્યા છે અને દેશમાં વધુ એક કોરોના રસીને મંજૂરી મળી શકે છે. આ નવી કોરોના રસી વાયરસના નવા સ્ટ્રેન ઉપર જ ઘણી પ્રભાવકારક હોવાનું મનાય છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના સીઇઓ અદાર પૂનાવાલા એ શનિવારે કહ્યુ કે, તેમની કંપનીને ભારતમાં નોવાવેક્સ ઇંકની સાથે ભાગીદારીમાં વધુ એક કોવિડ વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવા અરજી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જૂન 2021 સુધીમાં કંપની કોરોના વાયરસની માટે વધુ એક વેક્સીન Covavax (કોવાવેક્સ) લોન્ચ કરી શકે છે. આ નવી વેક્સીન ભારતમાં જૂન 2021 સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે.
અદાર પૂનાવાલાએ શનિવારે ટ્વિટમાં જણાવ્યુ કે, નોવાવેક્સની સાથે કોવિડ-19ની રસી માટે અમારી ભાગીદારીએ બહુ જ અસરકારક પરિણામ આપ્યા છે. હકીકતમાં ફાર્મા કંપની નોવાવેક્સ ઇંકે એક દિવસ પહેલા જ કહ્યુ હતુ કે કોવિડ-19ની તેની રસી બ્રિટનમાં ચાલી રહેલા ટ્રાયલના શરૂઆતના તારણોના આધારે વાયરસના નવા સ્ટ્રેનની સામે 89 ટકા અસરકારક હોવાનું દેખાયુ છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, તેની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા વાયરસના નવા સ્ટ્રેનની વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસીત કરવાના મામલે પણ અસરકારક જોવાનું દેખાયુ છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ અગાઉ કોરોના વાયરસની રસી કોવિશીલ્ડ બનાવી દીધી છે. ભારતમાં હાલમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન માટે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડના 1.10 કરોડ ડોઝ ખરીદયા છે.