નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરની પીક હજી આવી છે કે નહીં તે અંગે અસમંજસ યથાવત્ છે. કેન્દ્ર સરકાર તેમજ કેટલાક નિષ્ણાતો હજી પીક આવવાની બાકી હોવાની ચેતવણી આપી રહ્યા છે ત્યારે દેશ કોરોનાની બીજી લહેરમાંથી આંશિક રીતે બેઠો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં શુક્રવારે કોરોનાના ૩.૪૪ લાખથી વધુ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ બે કરોડથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના ૩.૪૩ લાખ નવા કેસ નોંધાયા હતા તેમજ ૪૦૦૦થી વધુ દર્દીનાં મોત થયા હતા.
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ ૩.૪૩ લાખ, ૪૦૦૦નાં મોત
દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના નવા કેસ ચાર લાખથી નીચે નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે એક દિવસમાં ૩,૪૩,૧૪૪ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૨,૪૦,૪૬,૮૦૯ થયા હતા. દેશમાં એક દિવસમાં વધુ ચાર હજાર દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૬૨ લાખને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડાના પગલે એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના એક્ટિવ કેસ ૩૭.૦૪ લાખ રહ્યા હતા, જે કુલ કેસમાં ૧૫.૪૧ ટકા જેટલા છે. કોરોનાના કેસ ઘટતાં રાષ્ટ્રીય રીકવરી રેટ સુધર્યો છે, જે ૮૩.૫૦ ટકા થયો હતો જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા રહ્યો હતો.
ચાર દિવસમાં ત્રીજી વખત નવા કેસ સામે સાજા થનાર દર્દીની સંખ્યા વધારે
દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં એક દિવસમાં ૩,૪૪,૭૭૬ દર્દીઓ સાજા થવાની સાથે કુલ ૨,૦૦,૭૯,૫૯૯ દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થયા છે. દેશમાં સાજા થનારા નવા દર્દીઓમાંથી ૭૧.૧૬ ટકા દર્દી ૧૦ રાજ્યના હતા.
દેશમાં કોરોનાના નવા કેસમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૪૨,૫૮૨, કેરળમાં ૩૯,૯૫૫ અને કર્ણાટકમાં ૩૫,૨૯૭ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની તપાસ માટે કુલ ૩૧ કરોડથી વધુ ટેસ્ટ કરાયા છે અને પોઝિટિવિટી દર વધીને ૭.૭૨ ટકા થયો છે. જોકે, દૈનિક પોઝિટિવિટી દર આંશિક ઘટીને ૨૦.૦૮ ટકા રહ્યો હતો. ભારતના કુલ એક્ટિવ કેસ પણ ઘટીને ૩૭.૦૪ લાખ રહ્યા હતા. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૫,૬૩૨નો ઘટાડો નોંધાયો છે, જે એક સકારાત્મક સંકેત છે.
રસીકરણ અભિયાનમાં ૧૭.૯૨ કરોડથી વધુ ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ૧૧૮ દિવસના રસીકરણ અભિયાનમાં ૨૬.૦૨ લાખ સત્રો મારફત કોરોનાના ૧૭.૯૨ કરોડથી વધુ ડોઝ અપાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં રસીના ૨૦ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જેમાં ૧૦.૩૪ લાખ લાભાર્થીઓએ રસીનો પહેલો ડોઝ અને ૯.૯૨ લાખ લાભાર્થીઓએ રસીનો બીજો ડોઝ લીધો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોના સામે લડવા વિદેશમાંથી મળેલી સહાયના ભાગરૂપે ૯,૨૯૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ૧૧,૮૩૫ ઓક્સિજન સિલિન્ડર્સ, ૧૯ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, ૬,૪૩૯ વેન્ટીલેટર્સ/બાઈપેપ અને અંદાજે ૪.૨૨ લાખ રેમડેસિવિર વાયલ્સ રાજ્યોને ડિલિવર કરાયા છે.
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ૧૬થી ૩૧ મે સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિીનના ૧૯૧.૯૯ લાખ ડોઝ મફતમાં અપાશે, જેમાં કોવિશિલ્ડના ૧૬૨.૫ લાખ અને કોવેક્સિનના ૨૯.૪૯ લાખ ડોઝનો સમાવેશ થાય છે. રસીની ફાળવણી માટેના સમયની રાજ્યોને અગાઉથી જાણ કરાશે. ઉપરાંત મે મહિનામાં રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે ૪.૩૯ કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ રખાયા હતા. હર્ષવર્ધને રાજ્યોને રસીનો શક્ય એટલો ઓછો બગાડ થાય તે માટે પગલાં લેવાવિનંતી કરી છે.