ભારતે ચીન અને પાકિસ્તાનના વિરોધને અવગણીને શ્રીનગરમાં જી-20 બેઠકની તારીખ નક્કી કરી છે. ભારતે શુક્રવારે તેના G-20 કેલેન્ડરને અપડેટ કરતા કહ્યું કે પ્રવાસન પર કાર્યકારી જૂથની બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાશે.
આપને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ચીન ઈચ્છતા ન હતા કે પર્યટન G-20 વર્કિંગ ગ્રુપની બેઠક અહીં યોજાય.
આ માટે પાકિસ્તાને સાઉદી અરેબિયા, તુર્કી અને ચીનને સાથે લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે, ભારતે હવે સ્પષ્ટ કર્યું છે કે આ બેઠક શ્રીનગરમાં જ યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણાચલ પ્રદેશની જેમ ચીન પણ શ્રીનગરમાં યોજાનારી બેઠકથી દૂર રહી શકે છે પરંતુ શ્રીનગરમાં આ બેઠક યોજવામાં આવશે જે ભારતનો ફાયનલ નિર્ણય છે.
અહેવાલો અનુસાર, શ્રીનગરમાં યોજાનારી બેઠકની તૈયારીઓ ગયા વર્ષે જ શરૂ થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં જી-20 બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ બેઠકો યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો. ચીન પોતે અરુણાચલ પ્રદેશ પર દાવો કરે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.