લંડનની કોર્ટે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારત પરત લાવવામાં આવશે. આ પહેલાં માલ્યાએ કહ્યું હતું કે તે બેંકોના પૈસા પરત આપવા માટે તૈયાર છે. કોર્ટમાં જતા પહેલાં માલ્યાએ કહ્યું કે તેને સેટલમેન્ટ માટેની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યું હતું કે તેના પ્રત્યાર્પણનું આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. પોતાના બચાવમાં માલ્યાએ વધુમાં કહ્યું કે પહેલાં તે સ્પષ્ટ કરી દઉં કે મેં પૈસા ચોર્યાં નથી. મેં કિંગફિશર એરલાયન્સને બચાવવા માટે 4 હજાર કરોડ રૂપિયા તેમાં લગાવ્યા હતા.
માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેઓ માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. ભારતે ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુકેથી તેના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. ભારતમાં ફ્રોડ અને મની લોન્ડ્રિંગના આરોપો પર એપ્રિલ 2017મા સ્કોટલેન્ડ યાર્ડમાં માલ્યાની ધરપકડ થઈ હતી, પરંતુ જામીન પર છૂટી ગયો હતો. પ્રત્યાર્પણનો આ મામલો 4 ડિસેમ્બર 2017થી લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે.