નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને જીવલેણ કોરોના વાયર સામેની લડાઇમાં જીતનું નજીક પહોંચી ગયુ છે. વિશ્વની સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી દેશમાં લાખો લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. કોરોના રસી માટેના નાણાં ક્યાંથી આવશે અને કેટલા ખર્ચાયા તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કા માટે પીએમ કેર ફંડમાંથી 2200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે પીએમ કેર ફંડની સ્થાપના કરાઇ હતી, જેમાં આવેલા દાનની રકમ હાલ રસીકરણ માટે પણ વાપરવામાં આવી રહી છે.
બીજી તરફ દિલ્હીમાં રહેતા નાગરિકો અને કોરોના વાઇરસ અંગે એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં 56.13 ટકા નાગરિકોમાં કોરોના વાઇરસ સામે લડવાની એન્ટીબોડી છે, આ સરવેને ટાંકીને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીના નાગરિકોમાં કોરોના વાઇરસ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં સારી છે જેને કારણે અમે આ વાઇરસ સામે લડવામાં ઘણે અંશે સફળ રહ્યા છીએ. સરકાર દ્વારા દિલ્હીમાં હાથ ધરાયેલા સેરો સરવેના આધારે આ દાવા કરવામાં આવ્યા હતા.
રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિનિ ચૌબેએ કહ્યું હતું કે વેક્સિનેશનના પ્રથમ તબક્કા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જે રસી આપવામાં આવી છે તે મફત છે અને તેનો કોઇ ચાર્જ લેવામાં નથી આવ્યો. આ રસીને ફ્રન્ટલાઇન હેલૃથ વર્કરને આપવામાં આવશે. કુલ 165 લાખ ડોઝ આ રસીના તૈયાર કરાયા છે. જેમાં 110 લાખ ડોઝ કોવિશીલ્ડના છે જેનું ઉત્પાદન સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયું છે જ્યારે 55 લાખ ડોઝ કોવેક્સિનના છે જેનું ઉત્પાદન ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા કરાયું છે.