નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાન વચ્ચે ફરી કોરોનાના કેસ વધતા સરકાર ચિંતામાં મુકાઇ છે. કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના ૫૫મા દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના ૨.૫૬ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૧૭ લાખ લાભાર્થીઓને રસી અપાઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોરોનાની રસીના કુલ ૨,૫૬,૮૫,૦૧૧ ડોઝ અપાયા છે. રસી મેળવનારા લાભાર્થીઓમાં ૭૧,૭૦,૫૧૯ સ્વાસ્થ્ય કર્મચારી, ૭૦,૩૧,૧૪૭ ફ્રન્ટલાઈન વર્કર્સ, ૬૦ વર્ષથી વધુ વયના ૫૫,૯૯,૧૪૩ લોકો અને ૪૫ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીનો સામનો કરતાં ૯,૨૯,૩૫૯ લોકોનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૩૯,૭૭,૪૦૭ અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી ૫,૮૨,૧૧૮ને રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે ૭,૨૫,૯૩૦ લોકોને રસીનો પહેલો અને ૧,૯૬,૧૦૯ સ્વાસ્થ્ય કર્મીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાનો બીજો ડોઝ અપાયો છે. પહેલો ડોઝ લેનારાઓમાં ૬૦ વર્ષથી વધુ વયના ૪,૯૫,૦૨૬ લોકો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત ૪૫ વર્ષથી વધુ વયના ૯૫,૮૩૪ દર્દીઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લીધા પછી અનેક નેતાઓ અને સેલિબ્રિટિઓએ રસી લેવાનું શરૃ કર્યું છે. ગુરુવારે વડાપ્રધાનના માતા હિરાબાએ પણ રસી લીધી હતી. આ માહિતી વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર આપી હતી. ઉપરાંત દક્ષિણના સુપર સ્ટાર મોહનલલા, બોલિવૂડની જૂના જમાનાની અભિનેત્રી નીના ગુપ્તા સહિત અનેક સેલિબ્રિટિઓએ કોરોનાની રસી મેળવી છે.