રાંચીમાં નમાઝ પછી હિંસા, મંદિર પર પથ્થરમારા પછી પોલીસ ફાયરિંગમાં 1નું મોત અને 7 ઇજાગ્રસ્ત થયાના અહેવાલો છે.
પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે રાંચીમાં શુક્રવારે નમાઝ પછી હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. લોકોએ મંદિર પર પથ્થરમારો કર્યો જેના જવાબમાં પોલીસ ફાયરિંગ દરમિયાન 35 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે તો બીજી બાજુ 7 અન્ય લોકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે.
અહેવાલો અનુસાર, લોકોએ મુખ્ય માર્ગ પર વિવિધ સ્થળોએ પોલીસ-પ્રશાસન દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગને તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પોલીસ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરતા ભારે અફરા તફરી મચી હતી
નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ ઝારખંડની રાજધાની રાંચીના છે, જ્યાં મુસ્લિમ સમુદાય દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ કરતા બપોરે પ્રદર્શન હિંસક બન્યું હતું.
રાંચીમાં હાલ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ સિવાય જમ્મૂ કાશ્મીર ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, બંગાળના ઘણા શહેરોમાં જુમ્માની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને નૂપુર શર્મા વિરૂદ્ધ નારા લગાડવા લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓએ PACના ટ્રક પણ ફૂંકી માર્યા છે. જ્યારે કર્ણાટકમાં નુપુરનું પૂતળા ને ફાંસી આપવામાં આવી હતી.