એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું છે. વચ્ચે વચ્ચે કોમેડિયનની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયતમાં સુધારો થતો નહોતો. જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ બેભાન હતા અને હવે આ ફાની દુનિયા છોડી ગયા છે.
25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ પ્રખ્યાત કવિ હતા. તેઓ બલાઈ કાકાના નામે કવિતા સંભળાવતા.
એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બાળપણમાં તેમને કવિતા સંભળાવવા માટે કહેવામાં આવતું હતું, તેથી તેઓ તેમના જન્મદિવસ પર કવિતાઓ સંભળાવતા હતા.
રાજુ શ્રીવાસ્તવના અમિતાભ બચ્ચનન પ્રિય હીરો હતા. બિગ બીની શોલે ફિલ્મ રાજુ ભૈયાને ખૂબ પસંદ આવી હતી અને આ ફિલ્મ જોયા પછી તેણે અમિતાભ બચ્ચનની જેમ બોલવાનું, ઉઠવાનું, બેસવાનું શરૂ કર્યું. અહીંથી ગજોધર ભૈયાએ અમિતાભ બચ્ચનની મિમિક્રી કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનની મિમિક્રી ખૂબ જ સારી રીતે કરતા હતા તેમને પહેલીવાર અમિતાભની નકલ કરવા બદલ ઈનામ તરીકે 50 રૂપિયા પણ મળ્યા હતા.
1982માં રાજુ શ્રીવાસ્તવ મુંબઈ આવી ગયા હતા અને અહીંથી તેમનો સંઘર્ષ શરૂ થયો. શરૂઆતના દિવસોમાં તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટો રિક્ષા પણ ચલાવી હતી અને ત્યારબાદ ફિલ્મોમાં નાના રોલ કર્યા.
રાજુ શ્રીવાસ્તવે અનિલ કપૂરની તેઝાબ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં પણ ટ્રક ક્લીનરની ભૂમિકા ભજવી હતી.