દેશમાં વિપક્ષ એકજૂથ થઈ નીતીશ કુમારને વડાપ્રધાન બનાવવા નીકળ્યા છે પણ આ બધા સામે માત્ર મોદી એકલાજ કાફી છે અને લખી રાખો નરેન્દ્રભાઈ મોદી 2024માં પણ ભારતના વડાપ્રધાન હશે.
વડાપ્રધાન મોદી ઉપર લખવામાં આવેલા પુસ્તક મોદી@20ના લોકાર્પણ પ્રસંગે પટનામાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મુજબ જણાવી નીતિશકુમાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, જે વ્યક્તિ સ્વબળે એકલા હાથ ચૂંટણી નથી જીતી શકતા અને જેને મુખ્યમંત્રી બનવા માટે પણ જો કોઈનું સમર્થન લેવું પડતું હોય તેવા વ્યક્તિ વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યાં છે જે હાસ્યાસ્પદ લાગી રહ્યું છે.
દેશમાં પ્રધાનસેવકની રેસમાં માત્ર એક જ વ્યક્તિ છે અને તે છે નરેન્દ્ર મોદીજી.
2024માં ફરીથી ભારતમાં ભાજપની પતાકા લહેરાશે કારણકે મોદી સફળતા જ નહીં, સમાધાનનો મંત્ર છે. નરેન્દ્ર મોદી માત્ર મંત્ર જ નહીં, મેથડ છે, મિશન પણ છે. આ મિશન માત્ર સફળતાનું જ નહી, જનતાની સમસ્યાઓના સમાધાનનું પણ છે. PM મોદીએ પોતાના જીવનકાળમાં જળ શક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જન શક્તિના જે સપના જોયા હતા તે પૂર્ણ પણ કર્યા છે.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા કર્મયોગી પર વારંવાર કટાક્ષ કરવામાં આવે છે પણ રાષ્ટ્રએ મોદીજીને સેવક તરીકે સ્વીકાર કર્યા છે તે વાસ્તવિકતા છે.
રાજનીતિક હરિફોનો હેતુ કોઈ પણ પ્રકારે 2024માં સત્તા કબ્જે કરવાનો છે પણ આવા લોકો પોતેજ એકબીજા માટે સહારો શોધી રહ્યાં છે અને એકજૂથ થઈ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહયા છે પણ તે ક્યારેય થવાનું નથી.