દેશમાં 14 સપ્ટેમ્બરના દિવસને દર વર્ષે “હિન્દી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દરવર્ષે સપ્ટેમ્બરની 14મી તારીખે જ રાષ્ટ્રભાષાને સમર્પિત આ દિવસ કેમ મનાવવામાં આવે છે? એ તમે જાણો છો? જો તમારો જવાબ ના હોય તો આ આર્ટીકલમાં તમને તમારો જવાબ મળી જશે.વર્ષ 1947માં જ્યારે ભારત જ્યારે અંગ્રેજોની હુકુમતથી સ્વતંત્ર થયુ, ત્યારે વિવિધ ભાષા ધરાવતા આ દેશ માટે રાષ્ટ્રભાષાની પસંદગીને લઈને મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. લાંબા વિચાર-વિમર્શ બાદ આખરે 14 સપ્ટેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અવસરે સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટી સહિત અનેક ઓફિસોમાં અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, પરંતુ આ વખતો કોરોનાના કારણે આવા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં છે.
આ સાથે અંગ્રેજીને ભારતમાં હિન્દી સાથે વધુ એક સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવામાં આવી. જાણવા મળ્યું છે કે, બંધારણ સભા દ્વારા દેવનાગરી લિપીમાં લખેલ હિન્દીને અંગ્રેજો સાથે રાષ્ટ્રની ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવી હતી.જો કે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરવી સરળ નહતી. આ માટે અનેક નિષ્ઠાવાન સમર્થકોએ હિન્દીના પક્ષમાં રેલીઓ યોજી હતી. આ લોકોમાં સૌથી મહત્વની વ્યક્તિ હોય તો, રાજેન્દ્ર સિન્હા, હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી શરણ ગુપ્ત અને શેઠ ગોવિંદદાસ મુખ્ય રહ્યાં હતા, જેમણે આ મુદ્દા પર સંસદમાં પણ ચર્ચા કરી હતી.
14 સપ્ટેમ્બર 1949ના વ્યૌહાર રાજેન્દ્ર સિન્હાના 50માં જન્મદિનના અવસરે આખરે બંધારણ સભા દ્વારા હિન્દીને સત્તાવાર રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરવામાં આવી. આ નિર્ણય 26 જાન્યુઆરી 1950ના ભારતીય બંધારણમાં લાગુ થવા સાથે જ અમલમાં આવ્યો હતો. ભારતીય બંધારણના આર્ટીકલ-343 અંતર્ગત દેવનાગરી લિપિમાં લખવામાં આવેલ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.
દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહલલાલ નેહરુ દ્વારા આ દિવસનું મહત્વ દર્શાવવા માટે આ જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ દર વર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવશે.