Delhi-NCRના લોકોને આજે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલા અને ઉબર કેબ (OLA-UBER Cab)સર્વિસના બે લાખ ડ્રાઈવર આજે પોતાની વિવિધ માંગોને લઈને હડતાલ કરવા પર ઉભા થયા છે. જણાવી દઈએ કે, આજે દિલ્હીમાં 18 પરીક્ષા કેન્દ્રો પર JEEની પરીક્ષા થઇ રહી છે અને દિલ્હીમાં હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ છે. કોરોના સંક્રમણને લઇને જારી લોકડાઉનના કારણે મેટ્રો પણ બંધ છે અને બસ પણ ઓછી ચાલી રહી છે. એવામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કોવિડ-19 મહામારીના પગલે લોન જમા કરવાની સમય મર્યાદામા વધારો અને ભાડામાં વધારાની માંગને લઈને આજે કેબ ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. એક રિપોર્ટ અનુસાર, સર્વોદય ડ્રાઈવર્સ અસોસિએશન ઓફ દિલ્હીના અધ્યક્ષ કમલજીત સિંહ ગિલએ કહ્યું કે, કેબ સેવાઓના લગભગ બે લાખ ડ્રાઈવર આ હડતાલમાં શામેલ છે. કારણ કે સરકારે તેમની અપીલ પર કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.
તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે ડ્રાઇવરોને તેમનું ઘર ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવામાં તેઓ ઇએમઆઇ (EMI) ચૂકવી શકતા નથી. મોરોટોરિયમ સમય પૂર્ણ થયા બાદ તેમને હવે ઇએમઆઇની ચિંતા થઇ રહી છે. બેન્ક લોનના (Bank Loan) હફ્તા ભરવા માટે હવે દબાણ થઇ રહ્યું છે.
આ સિવાય ડ્રાઇવરોની એવી પણ માંગ છે કે, તેમના વાહનો વિરુદ્ધ જારી કરાયેલ ઈ-ચલાન પાછો ખેંચી લેવામાં આવે. આ સાથે જ ડ્રાઈવર હવે દિલ્હી, એનસીઆર, નોઈડા, ગાજિયાબાદ, ફરીદાબાદ અને ગુડગાંવ વચ્ચે મુસાફરી માટે વધારે કમિશનની માંગ કરી રહ્યા છે. જાણકારી અનુસાર, તેમના માંગોના સમર્થનમાં કેબ ચાલક મંગળવારે સરકારી કાર્યવાહીની માંગ માટે મંડી હાઉસમાં હિમાચલ ભવન પાસે ભેગા થશે.