રૂરલ ડેલપલમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી) દ્વારા બાળકોની માનસિક સ્વાસ્થ્ય માટે પાલડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર, થલતેજ સહિતની 8 જાણીતી સ્કૂલોના 1400 વિદ્યાર્થીઓ પર સરવે કર્યો છે. આ સરવેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, 34 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓને તણાવ, ચિંતા, હતાશાને કારણે મરવાનો વિચાર આવે છે. આ સરવેમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.
અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસ
સરવે દરમિયાન રૂડમીના કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. તેમના મતે, તેઓ અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસમાં હોય છે. જ્યારે કે તેમની ઉંમર અભ્યાસનો ગોલ સેટ કરવાની છે. પેરેન્ટ્સ સાથેની ઓછી વાતચીતને કારણે તેઓને યોગ્ય સલાહ ન મળતા તેઓ પોતાનો રસ્તો પોતાની રીતે પસંદ કરતા હતા.
એક વિદ્યાર્થિનીએ સ્ટ્રેસના કારણે પોતાની રિંગ ફિંગર કાપી લીધી
એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે મારી સાથે અભ્યાસ કરતા મારા ખાસ મિત્રે મારી સાથે વાત બંધ કરી દીધી હતી. જેથી હું સ્ટ્રેસમાં આવી ગઇ હતી અને મેં મારી રિંગ ફિંગર કાપી લીધી હતી. હું મારી વાત કોઇની સાથે શેર ન કરી શકી તેના કારણે હું મુંઝાઇ ગઇ હતી. ઉપરાંત એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે મારી નાની નાની બાબતોમાં મારા પેરેન્ટ્સ દખલગીરી કરે છે. જે મને જરા પણ પસંદ નથી. તેમની દખલગીરીને કારણે ઘણીવાર તેમની સાથે મારો ઝઘડો થાય છે.
સરવે માટે અમે સ્કૂલમાં એક બોક્સ મૂક્યું હતું
અમે છેલ્લા 4 વર્ષ બાળકોના અભ્યાસ અને તેમની માનસીક સ્થિતી પર કામ કરીએ છીએ. બાળકોની માનસિક સ્થિતી જાણવા માટે અમે જાણીતી 8 સ્કૂલોનો સમાવેશ કર્યો છે. અમે સ્કૂલમાં એક બોક્સ મુક્યું હતું. જેમાં બાળકોને પોતાના પ્રશ્નો અને સમસ્યા જણાવવા કહ્યું હતું. અમને 1400 વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો મોકલ્યા હતા. જેમાંથી મુખ્ય પ્રશ્નોના જવાબને આધારે ટકાવારી પ્રમાણે માહિતી જાહેર કરી હતી.-ડો. પ્રિતિ તિવારી, સાયકોલોજિસ્ટ કાઉન્સિલર, રૂડમી
સોશિયલ મીડિયા, બ્રાંડનું પ્રેશર જવાબદાર
ભારતમાં 15થી 29 વર્ષના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધારે છે. તેનું કારણ સ્ટ્રેસ ઉપરાંત સોશિયલ રિલેશન, સોશિયલ મિડીયા, બ્રાંડનું પ્રેશર જવાબદાર છે. યુવાનોમાં વધતું જતું વ્યસનનું પ્રમાણ ચિંતાજનક છે. આ માટે દરેક સ્કૂલમાં કાઉન્સિલ સેન્ટર હોવા જોઇએ.-ડો. પ્રશાંત ભિમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ
સરવેના તારણો
- 21%ને ભણવાનું બોજારૂપ અને 42%ને યાદ રહેતું નથી
- 34% ચિંતા, તનાવ, હતાશા અને મરવાનો વિચાર
- 42% ભણવામાં ધ્યાન નથી રહેતુ
- 21% ભણવાનું બોજા રૂપ લાગે છે
- 17% વિદ્યાર્થીઓને વાલીઓનું દબાણ રહે છે
- 17% વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધીત ચિંતા
- 42% વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે છે
- 17% વિદ્યાર્થીઓને ઘરેથી ભાગી જવાનો વિચાર
- 17% વિદ્યાર્થીઓને આંતર સંબંધોમાં અંતર