બુલડોઝરની કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ એક નવું અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત નકલી રાશન કાર્ડ દ્વારા મફત રાશન લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય યોગી કેબિનેટે મદરેસાઓને લઈને પણ મોટો નિર્ણય લીધો છે, જેના પછી હવે નવા મદરેસાઓને સરકારી અનુદાન નહીં મળે.
સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓને અયોગ્ય કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે નકલી કાર્ડ દ્વારા મફત રાશન લેનારા લોકો પાસેથી પણ વસૂલાત કરવામાં આવશે, જેના માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ અયોગ્ય કાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડ વહેલામાં વહેલી તકે સરન્ડર કરવા સૂચના આપી છે. આ પછી ઘણા જિલ્લાઓમાં સેંકડો લોકો નકલી રેશનકાર્ડ જમા કરાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી પાસે પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના બાદ જિલ્લા પ્રશાસન પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
આ સાથે યોગી કેબિનેટે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન મદરેસા સંબંધિત નીતિને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી હવે નવા મદરેસાઓને સરકારી અનુદાન નહીં મળે. જોકે જૂના મદરેસાઓને સરકારી મદદ મળતી રહેશે. કેબિનેટની બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથે આ અંગે નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે હાલમાં યુપીમાં 558 મદરેસાઓને સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.