ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની 6 બેઠકના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેના ફાળે 3-3 બેઠક આવી છે. ભાજપે ખેરાલુ, લુણાવાડા અને અમરાઇવાડી બેઠક કબજે કરી છે જ્યારે કોંગ્રેસે રાધનપુર, થરાદ અને બાયડ બેઠક પર વિજય થયો છે. જયારે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ સામે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો પરાજય થયો છે.
પાર્ટી બદલુ બન્ને નેતાઓનો પરાજય
પાર્ટી બદલુ નેતા અલ્પેશ ઠાકોર તેમજ ધવલસિંહ ઝાલા બન્નેનો ભાજપમાં પરાજય થયો છે.ગુજરાત પેટાચૂંટણીમાં તમામની નજર અલ્પેશ ઠાકોર પર હતી. જોકે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં આવવાનો કોઇ ફાયદો થયો નહતો. અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ હરાવ્યો હતો. અલ્પેશ ઠાકોરની આ હાર બાદ રાજકીય કારકિર્દી પર સંકટ ઉભુ થયુ છે. અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસના રઘુ દેસાઇ સામે 3315 મતોથી પરાજય થયો હતો. રઘુ દેસાઇ સામે દરેક રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર પાછળ રહ્યાં હતા. વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર બાદ અલ્પેશ ઠાકોરે હાર સ્વીકારી હતી. અલ્પેશ ઠાકોરે રાધનપુરની જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ એમ પણ કહ્યું કે, જાતિવાદ અને રાજકારણને કારણે મારો પરાજય થયો છે.
અલ્પેશ ઠાકોરે હાર બાદ શું કહ્યું?
“ઠાકોર સમાજે મત આપ્યા, પરંતુ જાતિવાદની રાજનીતિ થઇ જેથી હું હારી ગયો, આગામી લોકશાહી માટે આ ખતરારૂપ છે. આગામી સમયમાં ઠાકોરના સમાજના હક માટે જ્યાં લડવાનું થાય ત્યાં લડીશ, જે કામ કરવાનું થાય તે કરીશ.પક્ષપલટા કરતાં જે લોકોના અધિકારની વાત છે, જેમની હંમેશાં મદદ કરી એવા લોકો કટ્ટરવાદ અને જાતિવાદથી આવે તો દુખ થાય.અમને તોફાની કહેવામાં આવે, હું કોઈને નડ્યો નથી. હું તમામ સમાજ માટે લડ્યો છતાં મને જાતિવાદી કહેવાય તો દુખ થાય.હું હારીને બેસી રહેવાનો નથી પરંતુ ફરીથી આવીશ. જે સપનાં રાધનપુરના વિકાસ માટે લઈને આવ્યો હતો તે સપનું કદાચ રાધનપુરને પસંદ ન હતું. હવે રાધનપુરનો વિકાસ ભગવાન કરશે એવું લાગી રહ્યું છે. હવે તેમનો વિકાસ કેવી રીતે થશે તે સવાલ છે.”