દુનિયામાં એવા અનેક રહ્યો છે જેને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. એવું પણ નથી કે આ રહસ્યનો કોયડા ઉકેલવાનો કોઇએ પ્રયાસ નથી કર્યો, પરંતુ શોધકર્તા જેટલીવાર પણ આ રહસ્યોની પાછળની હકીકત જાણવાનો પ્રયાસ કરે છે, તે એટલા જ ગૂંચવાઇ જાય છે. હવે આપણા દેશ ભારતની જ વાત કરીએ તો દુનિયા તેને ‘ગામડાઓનો દેશ’ કહે છે પરંતુ આ ગામડાઓમાં પણ એવા અનેક રહસ્યો છુપાયેલા છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે.આજે અમે તમને આવી જ રહસ્યમયી જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ. હકીકતમાં કેટલીક આવી જ જગ્યાઓ હિમાચલ પ્રદેશમાં પણ છે. આ ગામનું નામ છે-મલાણા. હિમાચલની પહાડીઓ વચ્ચે સ્થિત મલાણા ગામ ચારે તરફથી ઉંડી ખાઇઓ અને બરફ આચ્છાદિત પહાડોથી ઘેરાયેલા છે. આશરે 1700ની વસ્તી ધરાવતુ આ ગામ પ્રવાસીઓ વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે.આ ગામ સાથે અનેક રહસ્યમયી સવાલો જોડાયેલા છે, જેમાંથી એક એ છે કે અહીંના લોકો પોતાને યૂનાના મશહૂર રાજા સિકંદર મહાનના વંશજ ગણાવે છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે સિકંદરે ભારત પર હુમલો કર્યો હતો, તો કેટલાંક સૈનિકોએ મલાણા ગામમાં શરણ લીધી હતી અને પછી તેઓ અહીંના જ બનીને રહી ગયાં. અહીંના રહેવાસીઓ સિકંદરના આ જ સૈનિકોના વંશજ કહેવાય છે. જો કે તે હજુ સંપૂર્ણ રીતે સાબિત નથી થયું. તમને જાણીને નવાઇ લાગશે કે સિકંદરના સમયની ઘણી વસ્તુઓ મલાણા ગામમાં મળી છે. કહેવામાં આવે છે કે સિકંદરના જમાનાની એક તલવાર પણ આ જ ગામના મંદિરમાં રાખવામાં આવી છે. આ લોકો કનાશી નામની ભાષા બોલે છે, જે ખૂબ જ રહસ્યમયી છે પરંતુ તેઓ આ ભાષાને પવિત્ર માને છે. આ ભાષાની સૌથી મોટી વાત એ છે કે આ ભાષા અહીં સિવાય ક્યાંય બોલવામાં નથી આવતી. તેને લઇને ઘણાં દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે. અહીં રહેતા વૃદ્ધો બહારના લોકો સાથે હાથ મિલાવવા અને સ્પર્શ કરવાથી અંતર જાળવે છે. તમે અહીંની દુકાનમાંથી કંઇક સામાન ખરીદશો તો દુકાનદાર તમારા હાથમાં આપવાના બદલે ત્યાં જ મુકી દેશે અને સાથે જ પૈસા પણ પોતાના હાથમાં લેવાના બદલે મૂકી દેવાનું કહે છે. આ ગામમાં જો કોઇ બહારની વ્યક્તિએ કોઇ વસ્તુનો સ્પર્શ કર્યો તો દંડ ચુકવવો પડે છે. દંડની રકમ 1000 રૂપિયાથી લઇને 2500 રૂપિયા સુધી હોઇ શકે છે. બહારના લોકો આ ગામમાં મકાન, દુકાન કે કોઇ સ્થાનિક નિવાસીને પણ સ્પર્શવાની મનાઇ છે.