કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના જન્મ માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દોષિ ગણાવ્યા છે. શાહે રવિવારે મુંબઈમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચાર માટે સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે જો નેહરુએ પાડોશી દેશ સાથે અકાળે યુદ્ધવિરામ જાહેર કર્યો ના હોત તો પીઓકે અસ્તિત્વમાં જ આવ્યું ના હોત.
નેહરુને મુદ્દે પ્રહાર કરતા શાહે વધુમાં જણાવ્યુંકે કાશ્મીર દેશનું અભિન્ન અંગ ના બન્યું તેનું કારણ પણ નેહરુ છે. જો તે સમયે દેશના સૌપ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સ્થિતિ સોંપવામાં આવી હોત તો ચિત્ર જુદું જ હોત.
આ ઉપરાંત કેન્દ્રના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય પર વિપક્ષને આડેહાથ લેતા શાહે જણાવ્યું કે, ‘કોંગ્રેસ કલમ 370ને હટાવવા પાછળ રાજકારણ જુએ છે, અમે આ રીતે નથી જોઈ રહ્યા. નેહરુએ તે વખતે અકાળે યુદ્ધવિરામ જાહેર ના કર્યો હોત તો પીઓકે અસ્તિત્વમાં આવ્યો જ ના હોત. નેહરુના બદલે સરદાર પટેલે કાશ્મીર સ્થિતિ સંભાળવાની જરૂર હતી.’
ચૂંટણી પંચે ગઈકાલે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ત્યારબાદ ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના પ્રચારનો શ્રીગણેશ કરી દીધા છે. શાહે વધુમાં ઉમેર્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી છોડવામાં આવી નથી.
આગામી સમયમાં કાશ્મીરમાં અશાંતિ નહીં હોય અને આતંકવાદનો ખાત્મો થઈ જશે તેમ શાહે મક્કમ સ્વરે જણાવ્યું હતું. કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર શાહે વાકપ્રહાર કર્યો કે ત્રણ-ત્રણ પેઢીઓએ કાશ્મીરમાં શાસન કર્યું તેમ છતા ત્યાં એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના થવા ના દીધી.
કાશ્મીરમાં આટલી ઠંડી હોવા છતા ભ્રષ્ટાચારમાં લથબથ કેટલાક લોકોને હવે પરસેવો વળી રહ્યો છે તેમ શાહે કટાક્ષ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવારને ટાંકીને કહ્યું કે તેમણે લોકોને જણાવવું જોઈએ કે તેઓ લોકોને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનું સમર્થન કરવા કહેશો કે વિરોધ કરવા.
શાહે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ જ ફરી મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું હતું.