જિલ્લાના અંતરીયાળ વિસ્તારના એક આદિવાસી મૂર્તિકારની કળા ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં ભારત દેશની શાન બની છે. જે છોટાઉદેપુર સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલા ભાષા કેન્દ્રએ આદિવાસીઓમાં છૂપાયેલી કળા પ્રતિભાને ઉજાગર કરવા પ્લેટફોર્મ પુરૂં પાડવાનું કામ કર્યું છે. અંતરીયાળ ગામડાઓમાં રહેલા ક્લાકારોની કલાને બહાર લાવવાનું કામ આ સંસ્થાએ કરી છે. અવારનવાર સેમિનાર અને એક્ઝિબિશન યોજીને બહારથી લોકોને બોલાવવામાં આવે છે.
ઇંગ્લેન્ડના માર્ક ઇલીયટે ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગ કરી હતી
અહીંના આદિવાસીઓની કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રાખવામાં આવે છે. 2012માં ઇંગ્લેન્ડના વતની અને કલાના કદરદાન માર્ક ઇલીયટ ભારત આવ્યા હતા અને તેજગઢ ભાષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન માર્ક ઇલિયટે ભાષા કેન્દ્ર દ્વારા યોજાયેલા “આદીવાસીની આંખ ” પ્રદર્શનમાં અહીંના આદીવાસીઓએ બનાવેલી કૃતિઓ નિહાળી હતી. જે પૈકી ઘેરૈયાની મૂર્તિ તેઓને ખુબ જ પસંદ પડી ગઇ હતી. ચાલુ વર્ષે મે મહિનામાં માર્ક ઇલિયટે ફરીથી તેજગઢની મુલાકાત લઇને ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગ કરી હતી.
ગામના એક વડીલ પાસેથી મૂર્તિ કળાની પ્રેરણા મળી
છોટાઉદેપુર જિલ્લાના ગાંઠિયા ગામનો બાલુભાઇ રાઠવા ભારત સરકારના માધ્યમથી ભારતભરમાં પોતાની કલાને પ્રદર્શિત કરી છે. હવે બાલુભાઇએ બનાવેલી મૂર્તિની માંગ વિદેશમાં થતાં તેણે પોતાની કળા દ્વારા સાડા ચાર ફૂટ ઊંચી એક આદિવાસી ઘેરૈયાની મૂર્તિ બનાવીને ઇંગ્લેન્ડ મોકલાવી હતી. આ આદિવાસી ઘેરૈયાની મૂર્તિ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં કાયમ માટે મૂકાઇ છે. જે ભારત દેશ અને સમગ્ર આદિવાસી સમાજ માટે ખુબ જ ગૌરવની વાત છે. બાલુભાઇ રાઠવા જણાવે છે કે, ગામના જ એક વડીલ પાસેથી મૂર્તિ કળાની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. આદિવાસી સમાજમા કોઇનું મૃત્યુ થાય ત્યારે તેઓ પોતાના સ્વજનને જીવંત સ્વરૂપે રાખવા ખત્રીજ (એક લાકડામાંથી બનાવેલી મૂર્તિ) બનાવીને ઘરની આસપાસ જ મૂકે છે.વાર તહેવારે તેની પૂજા કરે છે.