દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે કેટલાક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને સીસીટીવી કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, “ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરની તોડફોડ કરી”. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, “ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે દરવાજા સુધી લઈ ગઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150-200 કાર્યકરોએ સવારે 11.30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતા. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. વાસ્તવમાં આજે ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા હતા. ભાજપનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શન બાદ તોડફોડની ઘટના સામે આવી છે.