રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી ખારું પાણી આવતા હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. લોકોએ સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ડીસા તાલુકાના ઝેરડા ગામના ખેડૂતો પાસે 20-20, 30 -30 વિઘા જમીન પોતાની હોવા છતાં અને પોતાની જમીનમાં બોર હોવા છતાં પણ અહીંના ખેડૂતોએ પીવા માટે બહારથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, કારણ કે અહીંના બોરમાં હવે મીઠું નહિ પણ ખારું પાણી આવે છે. અહીંના ખેડૂતો પોતાના ખેતરમાં 800 થી હજાર ફૂટ ઊંડા બોર બનાવ્યા છે. પરંતુ તેમાં ખારું પાણી આવતા ખેડૂતોની હાલત દિન-પ્રતિદીન કફોડી બની રહી છે.દર વર્ષે આ વિસ્તારમાં પાણીમાં તળ ઊંડા જઈ રહી છે. જેના કારણે છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઇ રહ્યો છે અને ખેતી પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
બનાસકાંઠામાં દિવસે ને દિવસે મીઠા પાણીના સ્રોત પણ ઘટી રહ્યા છે. દસ વર્ષ પહેલા અહીંના લોકો પોતાના જ ખેતરમાં બનાવેલા બોર માંથી મીઠું પાણી પીતા હતા પરંતુ માત્ર 10 થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું છે. જેની સીધી અસર અહીંના ખેડૂતો ની જીવાદોરી સમાન ખેતી પર પડી છે. વિસ્તારની વાત કરીએ તો અંદાજે 30 થી 40 જેટલા ગામો ની અંદર એક હજારથી પણ વધુ ખેડૂતોની 18 થી 20 હજાર હેકટર જમીનમાં ખારૂ પાણી આવવા લાગ્યું છે. મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ચાર ચાર, પાંચ પાંચ વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે. અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગજળ સમાન બની બની ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જળાશયો છે. તેમ છતાં પણ અહીંના ખેડૂતો ની આ હાલત છે. ત્યારે છેવાડે રહેતા ખેડૂતો ની શું હાલત હશે તેની કલ્પના જ શું કરવી.