Mumbai High Court: મુંબઈ હાઈકોર્ટે દાઉદી વ્હોરા સમુદાયના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના બિરુદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહિર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્દીને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના દાઉદી વ્હોરા સમુદાયના 53મા ધાર્મિક નેતા અથવા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના દરજ્જાને પડકારતો દાવો દાખલ કર્યો હતો.
જસ્ટીસ ગૌતમ પટેલે કહ્યું કે હું કોઈ ગરબડ ઇચ્છતો નથી. મેં ચુકાદો શક્ય તેટલો તટસ્થ રાખ્યો છે. મેં માત્ર પુરાવાના આધારે ફેંસલો કર્યો છે, આસ્થાના મુદ્દા પર નહીં.”
દાઉદી વ્હોરા સમુદાયે કહ્યું કે મુંબઈ હાઈકોર્ટનો ફેંસલો “ઐતિહાસિક” અને સમુદાય માટે નિર્ણાયક ક્ષણ છે. દાઉદી વ્હોરા પ્રવક્તાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચુકાદામાં અરજદાર દ્વારા દાઉદી વ્હોરા સંપ્રદાયના તથ્યો અને ધાર્મિક સિદ્ધાંતોના ખોટા અર્થઘટન અને ભ્રામક ચિત્રણને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યું છે.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે હંમેશા ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખ્યો છે અને સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. સૈયદનાની સ્થિતિ અને દાઉદી વ્હોરા સમુદાયની વર્ષો જૂની માન્યતાઓ, રિવાજો, પ્રથાઓ અને સિદ્ધાંતોને વારંવાર સમર્થન આપ્યું છે.
આ વિવાદ મુંબઈમાં શિયા મુસ્લિમ સમુદાયના નેતૃત્વ પર કેન્દ્રિત છે, જેમાં આધ્યાત્મિક વડા દાઈ અલ-મુતલકના પદ માટે બે દાવેદારોએ કોર્ટમાં કેસ કર્યો હતો.
જાન્યુઆરી 2014 માં 52મા દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના નિધન પછી કાકા-ભત્રીજા વિવાદ ઉભો થયા પછી ઉત્તરાધિકારી અંગેની કાનૂની લડાઈ શરૂ થઈ હતી.
52મા દાઈના નિધન પછી તરત જ પુત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને ઉત્તરાધિકારી બનાવ્યા હતા.
તેમના ભાઈ સૈયદના ખોઝૈમા કુત્બુદ્દીને સ્વર્ગસ્થ દાઈના નિર્ણયનો શરુઆતમાં વિરોધ કર્યો હતો. જો કે, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને પોતાની જાતને સમુદાયના 53મા દાઈ તરીકે નિયુક્ત કર્યા હતા, જેનાથી લાંબી કાનૂની લડાઈ શરૂ થઈ હતી.
દાયકા લાંબી કાનૂની લડાઈ ખોઝૈમા કુત્બુદ્દીને એપ્રિલ 2014માં ઉત્તરાધિકારી તરીકે પોતાને સમુદાયના ધર્મગુરુ જાહેર કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
તેમણે કહ્યું કે તેમના ભાઈ 52મા દાઈએ 1965માં કરેલા નાસ નામની પ્રક્રિયાને શરૂઆતમાં ગુપ્ત રાખવા કહ્યું હતું, અને બાદમાં સૈયદના બુરહાનુદ્દીન દ્વારા તેમને નિષ્ઠાના શપથ (મિસાક) આપવામાં આવ્યા હતા, જેમણે કુતુબુદ્દીનને નેતા જાહેર કર્યો હતો અને તેમની સમાન રેન્ક પણ હતી.
જોકે, ટ્રાયલ દરમિયાન ખોઝૈમા કુતુબુદ્દીનનું નિધન થયું હતું. ત્યારબાદ, તેમના પુત્ર, સૈયદના તાહેર ફખરુદ્દીને ટ્રાયલમાં તેમના પિતાના સ્થાને પોતાને અરજદાર બનાવવાની માંગ કરતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. ફખરુદ્દીને દાવો કર્યો હતો કે તેમને તેમના પિતાએ નાસનું બિરુદ આપ્યું હતું અને 54મા દાઈ હોવાનો દાવો કર્યો હતો.
પ્રતિવાદી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને દલીલ કરી હતી કે 1965નો ચુકાદો, જેમ કે કુતુબુદ્દીન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, તે સાક્ષીઓ વગરનો હતો અને તેથી તેને સ્વીકારી શકાય તેમ નથી. સૈફુદ્દીનના વકીલોએ એમ પણ કહ્યું હતું કે દાઉદી વ્હોરા ધર્મના સ્થાપિત સિદ્ધાંતો મુજબ, નાસ બદલી શકાય છે અને ભૂતકાળના દાખલાઓ પણ ટાંકવામાં આવ્યા હતા.
ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ 2014 થી કેસની સુનાવણી કરી રહ્યા છે, અને અંતિમ સુનાવણી 30 નવેમ્બર, 2022 ના રોજ શરૂ થઈ હતી. કેસમાં એક કેન્દ્રીય પ્રશ્ન નાસની વિભાવનાની આસપાસ ફરતો હોવાથી ચૂકાદા આપતા પહેલા નોંધપાત્ર ધર્મશાસ્ત્રીય અને કાનૂની અસરો અંગે વિચારણા પણ કરી હતી.
દાઉદી વ્હોરા શિયા ઈસ્લામમાં એક ધાર્મિક સંપ્રદાય છે. તેઓની સંખ્યા વિશ્વભરમાં લગભગ 10 લાખ છે અને તેઓ વિશ્વના 40 થી વધુ દેશોમાં સ્થાયી થયા છે, જેમાં મોટાભાગના સમુદાય ભારતમાં રહે છે.