અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદને લૉ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કેસમાં જામીન આપી દીધા છે. ચિન્મયાનંદ કાયદાની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કેસમાં ઉત્તર પ્રદેશની શાહજહાંપુર જેલમાં બંધ છે. પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી ચિન્મયાનંદની જામીન અરજી પર 2 મહિના પહેલા સુનાવણી કરી હતી. જે બાદ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હવે અદાલત તરફથી ચિન્મયાનંદને મોટી રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે, શુકદેવાનંદ વિધિ યુનિવર્સિટીમાં LLMની વિદ્યાર્થિનિએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પર 24 ઓગસ્ટ, 2019માં એક વીડિયો વાયરલ કરીને યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ પોતાના પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. પીડિતાના પિતાએ શાહજહાંપુરમાં અપહરણ અને જાનથી મારવાની ધમકીના આરોપમાં અલગ-અલગ કલમો હેઠળ ચિન્મયાનંદ વિરૂદ્ધ કેસ દાખલો કરાવ્યો હતો. આ કેસ દાખલ થયા બાદ ચિન્મયાનંદના પક્ષના વકીલે પીડિતાના પિતા પર 5 કરોડની ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસ દાખલ થયા બાદ પીડિતા ગુમ થઈ હતી. જો કે બાદમાં પીડિતાને રાજસ્થાનથી મળી આવી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાતિય શોષણના આરોપી સ્વીમી ચિન્મયાનંદની ધરપકડ થઈ હતી. SITની ટીમે ઉત્તર પ્રદેશ પોલીસે સંયુક્ત રીતે ચિન્મયાનંદને મુમુક્ષ આશ્રમમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટની બે સભ્યોની વિશેષ પીઠની રચના કરીને સમગ્ર મામલે તપાસ કરવા SIT બનાવવાનો આદેશ આપ્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પાસેથી રુપિયા 5 કરોડ રુપિયાની ખંડણી માંગવાના આરોપી સંજય સિંહની ગુરૂવારે સાંજે જેલમાંથી મુક્તિ થઈ હતી. સંજયની જામીન હાઈકોર્ટે મંજૂર કરી હતી. જે બાદ હાઈકોર્ટનો ઓર્ડર બુધવારે સાંજે પહોંચ્યો હતો. ચિન્મયાનંદ પાસેથી 5 કરોડની ખંડણી માંગવાના આરોપમાં અત્યાર સુધી તમામ આરોપીઓ જેલમાંથી છૂટી ચૂક્યા છે. સૌ પ્રથમ વિદ્યાર્થિનિ અને સચિનની જામીન મંજૂર થઈ હતી. સૌથી છેલ્લે સંજય સિંહ પણ જેલમાંથી બહાર આવ્યો છે.
જણાવી દઈએ કે, ચિન્મયાનંદ વાજપેયી સરકારમાં ગૃહરાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ઉત્તર પ્રદેશના જૌનપુરથી 1999માં ચૂંટણી લડી હતી. ચિન્મયાનંદ 1991માં બદાયું અને 1998માં મછલીશહરથી પણ લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.