ભારત-ચીન વચ્ચે લડાખમાં ચાલી રહેલા સીમા વિવાદ બાદથી સરકારે કડક વલણ અપનાવતા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક બાજુ જ્યાં સરકાર ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે એક ચોંકાવનાર વાત સામે આવી છે.
હાલમાં જ રાજ્યસભામાં સરકારે માહિતી આપી હતી કે સરકારી ટેલિકોમ કંપની (બીએસએનએલ) દ્વારા ઉપયોગમાં લેવાતા 50 ટકાથી વધુ મોબાઈલ નેટવર્ક ઉપકરણ ચીની કંપનીઓના છે.
જ્યારે એમટીએનએલના મોબાઈલ નેટવર્કમાં 10 ટકા ઉપકરણ ચીની કંપનીઓના છે. આ વાતની માહિતી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકીના રાજ્ય કક્ષાના પ્રધાન સંજય ધોત્રેએ રાજ્યસભામાં આપી હતી તેમણે જણાવ્યું હતું કે બીએસએનએલના મોબાઈલ નેટવર્કમાં 44.4 ટકા ઉપકરણ ઝેડટીઈ અને 9 ટકા ઉપકરણ હ્યુવેઈ કંપનીના લાગ્યા છે.
ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) પાસે હાલમાં 2-જી અને 3-જી નેટવર્ક જ છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં લડાખમાં ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર ઉગ્ર હુમલો કર્યો હતો, આ અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયાં હતાં. ત્યારબાદ સરકારે ભારતમાં ચીની કંપનીઓને ટેન્ડર ભરવા અને અન્ય પ્રોજેક્ટ્સને રદ્દ કર્યા હતા.