ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહીત છ રાજ્યસભાના સભ્યો હાલમાં લોકસભા ચૂંટણીમાં જીતના કારણે ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી પાંચ જુલાઈના રોજ યોજાશે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમમાં બિહાર,ઓડિશા અને ગુજરાતમાં ખાલી થયેલી છ સીટ માટે પેટાચૂંટણી યોજાશે.
બિહારમાં એક,ગુજરાતમાં બે અને ઓડિશામાં ત્રણ સીટ ખાલી થઇ છે. બિહારથી રવિશંકર પ્રસાદ,ગુજરાતથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અને ઑડિશાથી બીજેડીના અચ્યુતાનંદ સામંત,પ્રતાપ કેશરી દેબ અને સૌમ્ય રંજન પટ્ટનાયકની સીટ ખાલી થઇ છે.
18 જૂનના રોજ જાહેર કરેલા નોટિફિકેશનમાં ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રીતે શરુ થશે. ઉમેદવારની નામાંકન માટેની છેલ્લી તારીખ 25 જૂન અને 26 જૂનના રોજ પત્રોની તપાસ કરવામાં આવશે. નામ પાછું લેવાની તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ સવારે નવ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. સાંજે પાંચ વાગે મતદાન બાદ ગણતરી પણ કરવામાં આવશે. શાહ અને ઈરાનીનો કાર્યકાળ 18 ઓગસ્ટ,2023 અને પ્રસાદનો કાર્યકાળ બે એપ્રિલ,2024 સુધીનો હતો. ગત વર્ષે બીજેડીમાંથી રાજ્યસભાના સાંસદ બનેલા પટ્ટનાયકે 6 જૂનના રોજ પોતાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.