હાલમાં દેશમાં ઠેર ઠેર CAA નો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જામિયાની હિંસા પછીથી દિલ્હીના અન્ય ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને તોફાનોમાં બજારોને 1500 કરોડનું નુકશાન થઇ ચુકયુ છે.
જો પરિસ્થિતી જલ્દી થાળે નહીં પડે તો દિલ્હીના બજારોમાં ધંધો રોજગાર ચોપટ થઇ જશે. અહીં સતત બગડી રહેલી પરિસ્થિતીની અસર છૂટક બજાર પર જ નહીં પણ જથ્થાબંધ બજારને પણ પડી રહી છે. અહીંથી અન્ય રાજયોના વેપારી માલ લઇ જતા હોય છે. જયારથી દિલ્હીમાં તોફાનો શરૂ થયા છે ત્યારથી બીજા રાજયોના વેપારીઓ અહીં આવતા બંધ થઇ ગયા છે.
છેલ્લા પાંચ દિવસમાં વેપાર 60% ઘટી ગયો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે આ વિરોધ પ્રદર્શનોના કારણે દિલ્હીના બજારોની હાલત સતત ખરાબ બનતી જાય છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં રોજ ૫૦૦ કરોડનો ધંધો થાય છે.
તેમાં 60 ટકાનો ઘટાડો થયો છે. કેટલીક બજારો તો એવી છે કે જયાં ગ્રાહક જોવા જ નથી મળતા. 15 ડીસેમ્બરે જામિયા હિંસા પછી શુક્રવાર 20 ડીસેમ્બર સુધીમાં ઓછામાં ઓછું 1500 કરોડનું નુકશાન થઇ ચુકયું છે. જો આમ જ ચાલતુ રહેશે તો પરિસ્થિતી બહુ ખરાબ થવાની છે.
દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની જે પાર્ટીઓ થતી હોય છે તેના પર પણ ઘણી અસર પડશે. દિલ્હીમાં તોફાનો રોકવા માટે દિલ્હી પોલિસે યુપી અને હરિયાણા પોલિસ સાથે વાતચીત કરીને લગભગ રોજ રાત્રે બોર્ડર પર કડક પહેરો ભરી રહી છે આના કારણે રોડ માર્ગે પણ માલવહનમાં વધારે સમય લાગી રહ્યો છે.
બજારોમાં વેપાર ઘટવાથી અહીં કામ કરતા હજારો કર્મચારીઓની રોજી રોટી પર પણ તેની અસર પડી છે. અહીં મોટા ભાગના લોકો એવા છે, જે રોજનું કમાઇને રોજ ખાય છે પણ બજારોમાં ગ્રાહકો ન હોવાથી દરેક વર્ગને મુશ્કેલીઓ થઇ રહી છે.