પરણિત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ વર્ષે કરવા ચોથ 17 ઓક્ટોમ્બર ગુરુવારે છે. કરવા ચોથનું વ્રત ફક્ત સુહાગણ મહિલાઓ જ નહીં પરંતુ કુવારી યુવતિઓ પણ રાખે છે. પરંતુ શું લગ્ન પહેલા કરવા ચોથનું વ્રત રાખવું યોગ્ય છે?
જ્યોતિષો અનુસાર કુંવારી યુવતીઓ પણ કરવા ચોથનું વ્રત રાખી શકે છે. તેનાથી કરવા માતાનો આશીર્વાદ મળે છે. કોઈ નુકશાન નથી થતું. મોટાભાગે કુંવારી યુવતીઓ પોતાના પ્રેમી અને વાગદત્તા માટે વ્રત કરે છે. પરંતુ જો તમારો હાલ કોઈ સાથે સંબંધ નથી તો તમે પોતાના ભાવી પતિ માટે પણ વ્રત કરી શકો છો.
અપરણિત યુવતીઓને પણ કરવા ચોથનાં વ્રતનું પાલન સામાન્ય નિયમો અનુસાર જ કરવાનું રહે છે પરંતુ પૂજા કરતી વખતે અમુક નિયમો બદલાઈ જાય છે. જો તમે તમારા પ્રેમી અથવા મંગેતર માટે વ્રત નથી રાખતા તો નિર્જળા વ્રત રાખવાની જગ્યાએ નિરાહાર વ્રત કરી શકો.
કુંવારી યુવતીઓ ફક્ત ચોથ માતા, ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરો અને તેમની કથા સાંભળો. કુંવારી કન્યાઓ માટે નિયમ છે કે તે ચંદ્ર નહીં પરંતુ તારા જોઈને પોતાનું વ્રત ખોલો. કુંવારી યુવતી ચારણી વગર તારાને જળ આપીને પૂજા કરી વ્રત ખોલી શકે છે.