જો ખાનગી સંસ્થાઓ કોવિડ -19 લોકડાઉન દરમિયાન કામદારોને સંપૂર્ણ વેતન ચૂકવવા અસમર્થ હોવાનો દાવો કરતી હોય તો તે તેમની ઓડિટ કરેલી બેલેન્સશીટ અને હિસાબો અદાલતમાં રજૂ કરે. ટોચની અદાલતે ગુરુવારે પોતાના 15 મેના આદેશને 12 જૂન સુધી લંબાવ્યો છે જેમાં સરકારને કહેવાયું હતું કે તેના માર્ચ 29ના પરિપત્રનો ભંગ કરનાર કંપનીઓ અને નિયોક્તાઓ વિરૂદ્ધ કોઈ સખત પગલાં ન લેવા. ઉલ્લેખનીય છે કે સરકારે લૉકડાઉન સમયગાળામાં કર્મચારીઓને પૂરો પગાર ચૂકવવાનું પરિપત્ર બહાર પાડયું હતું.ગૃહ મંત્રાલયે પોતાના પરિપત્રમાં સમસ્ત નિયોક્તાઓને કહ્યું હતું કે કોવિડ-19ને ફેલાતા અટકાવવા લગાવેલા લૉકડાઉન દરમિયાન તેમના સંસ્થાનો બંધ રહ્યા છે તે છતાં તેમણે તે સમયગાળા માટે તેમના કર્મચારીઓને કોઈ પણ કાપ વગર પૂરો પગાર ચૂકવવાનો રહેશે.
શ્રમ અને રોજગારના સચિવે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી કહ્યું હતું કે નિયોક્તાઓને કહેવામાં આવે કે મહામારીની પડકારજનક સ્થિતિ વચ્ચે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢે નહીં અથવા તેમનો પગાર ઓછો ન કરે.જસ્ટિસ અશોક ભૂષણ, એસ કે કોલ અને એમ આર શાહની બનેલી બેન્ચે ગૃહ મંત્રાલયના પરિપત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે 100 ટકા પગાર ચૂકવવાનો આદેશ અપાયો તેની સાથે નિર્દેશ અપાયા હતા કે આદેશનો ભંગ કરનાર નિયોક્તાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.‘આ અંગે અમારો દ્રષ્ટિકોણ અલગ છે. આ સમયગાળા માટે સમાધાન કરવા થોડી ચર્ચા થવી જોઈએ’, એમ બેન્ચે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે લૉકડાઉન સમયગાળમાં ઉદ્યોગોને બચાવવા અને પગારની ચૂકવણી વચ્ચે સંતુલન હોવું જોઈએ.