હિંદુ સંસ્કૃતિ સાથે જોડાયેલા પવિત્ર યાત્રા સ્થળો ચારધામના નામથી પણ ઓેળખાય છે. હિમાલયના ખોળામાં આવેલા આ યાત્રાધાનમ શિયાળામાં છ મહિના બંધ રહે છે. છ મહિના બાદ જ્યારે આ યાત્રાધામ ખુલે છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.
આ વર્ષે પણ છ મહિના બાદ આ યાત્રાધામોના ખુલવાનો સમય થયો છે. હવે ટૂંક સમયમાં જ આ ચારેય યાત્રાધામોના દ્વાર ખુલશે, પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. કોરોના વાયરસનો ફેલાવો ના થાય તે માટે આ વર્ષે એક પણ શ્રદ્ધાળુ ચારધામની મુલાકાત નહીં લઇ શકે. ૨૬ એપ્રિલે ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખુલતાની સાથે જ ચારધામ યાત્રાનો પ્રારંભ થશે.
ત્યારબાદ ૨૯ એપ્રિલે કેદારનાથના કપાટ ખુલશે, જ્યારે બદ્રિનાથના દ્વાર સૌથી છેલ્લે એટલે કે ૧૫ મેના રોજ ખુલશે. ઉત્તરાખંડના પ્રવાસન વિભાગે જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ ના થાય માટે શ્રદ્ધાળુઓને ચારધામ જવા નહીં મળે. માત્ર પૂજારીઓ જ મંદિરમાં જઇને પૂજા કરી શકશે. દેશમાં લાગુ લોકડાઉનના કોઇ નિર્ણય અને કેન્દ્ર સરકારની સૂચના બાદથી જ આ યાત્રા શરૂ થશે.