ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલીને કમૂર્તા બેસે તે પહેલાં નવા સીએમની તાજપોશી કરવામાં આવી રહી હોવાની અટકળો વચ્ચે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું હોવાની ચર્ચા નાગપુરનાં વર્તુળોમાં ચાલી રહી છે ત્યારે સુરતના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે સવાલ પૂછવામાં આયો હતો કે શું તમને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને પ્રશ્ન અંગે કશું પણ કહ્યું ન હતું,
સુરતના મોટા વરાછા રૂસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ પૂછાયો હતો કે પાછલા કેટલાક દિવસોથી તમારા રાજીનામા અંગેની ચર્ચા ચાલી રહી છે તો આ અંગે તમારું કશું કહેવાનું બને છે? વિજય રૂપાણીએ આ સવાલનો કોઈ ઉત્તર આપ્યો નહીં અને પત્રકારો પાસેથી વિદાય લીધી હતી.
નાગપુરના વર્તુળો જણાવી રહ્યા છે કે વિજય રૂપાણીની દિલ્હી મુલાકાત દરમિયાન તેમને રાજીનામું સુપરત કરી દેવાની સૂચના ભાજપ હાઈકમાન્ડ દ્વારા આપી દેવામાં આવી છે. આગામી ખૂબ જ ટૂંકા દિવસોમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાના સંકેત મળી રહ્યા છે. જોકે, સુરતની મુલાકાતમાં વિજય રૂપાણીએ રાજીનામાની વાતને ફગાવી પણ નહીં અને તેને સમર્થન આપવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. મુખ્યમંત્રી મૌન રહેતા નવેસરથી રાજીનામાની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.