આંધ્રપ્રદેશમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ખોટનો મામલો સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ અહીં પીએમ મોદીના હેલિકોપ્ટર પાસે કાળા ફુગ્ગા છોડ્યા હતા. જ્યારે વડાપ્રધાનનું હેલિકોપ્ટર વિજયવાડાથી ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે આકાશમાં કાળા ફુગ્ગાઓ ઉડતા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આ ફુગ્ગા છોડ્યા હતા.
જ્યાંથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર ઉપડવાનું હતું ત્યાંથી કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. તેમના હાથમાં કાળા ફુગ્ગા અને પ્લેકાર્ડ હતા. તેઓ પીએમ મોદી પર નિશાન સાધતા નારા પણ લગાવી રહ્યા હતા.
વિજયવાડાના કમિશનર કાંતિ રાણાનું કહેવું છે કે કોંગ્રેસના ત્રણ કાર્યકરોએ પીએમના હેલિકોપ્ટરથી લગભગ બે કિલોમીટર દૂરથી ફુગ્ગા છોડ્યા હતા. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેસ પણ નોંધવામાં આવ્યો છે. અલ્લુરી સીતારામ રાજુની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.