નવી દિલ્હી: દેશ અત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે રોજે રોજ લાખોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. દેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લૉકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેક્સીનની ખરીદવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ 21નું એક અભિન્ન અંગ છે.
અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, એલ. નાગેશ્વર રાવ અને એસ. રવીન્દ્ર ભટની બેન્ચે એવું પણ કહ્યું કે લૉકડાઉન લાગુ કરતાં પહેલા સરકાર એ પણ સુનિશ્ચિત કરે કે તેનો સામાજિક અને આર્થિક પ્રભાવ ઓછો પડે. કોર્ટના જણાવ્યા મુજબ જે લોકો પર લૉકડાઉનની અસર પડી શકે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
દેશભરમાં હાલના સમયમાં હૉસ્પિટલોને લઈને મારામારી જેવી સ્થિતિ છે. લોકો હૉસ્પિટલમાં બેડ ન મળવાની ફરિયાદ કરી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હૉસ્પિટલમા; દાખલ કરવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાની સલાહ આપી છે. કોર્ટે આ નીતિ બે સપ્તાહની અંદર બનાવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટ મુજબ કોઈને પણ સ્થાનિક આવાસીય પ્રમાણ કે ઓળખ પ્રમાણ ન હોવાના કારણે હૉસ્પિટલમાં દાખલ કે આવશ્યક દવાઓથી વંચિત ન રાખી શકાય.
ગત મહિને 20 એપ્રિલે કેન્દ્ર સરકારે વેક્સીનની ખરીદીને લઈને નવી રિવાઇઝ પોલિસીની જાહેરાત કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે હવે તેઓ માત્ર 50 ટકા જ વેક્સીનની ખરીદી કરશે, જ્યારે બાકી બચેલી 50 ટકા વેક્સીન હવે સીધી રાજ્ય અને પ્રાઇવેટ કંપની મોંઘા દરે ખરીદી શકશે. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ભલામણ કરી છે કે વેક્સીનની ખરીદીને કેન્દ્રીકૃત કરવી જોઈએ, અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિતરણને વિકેન્દ્રીકૃત કરવી જોઈએ.