રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-૧૯ની દવા ૨-ડીજીની પહેલી ખેપ સોમવારે લોન્ચ કરી દેવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ દિલ્હીમાં આ દવા લોન્ચ કરી છે. રક્ષા મંત્રાલયે આં મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કોરોનાના મધ્યમ લક્ષણો વાળા અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓ પર આ દવાના ઈમરજન્સી ઉપયોગને ભારતના ઔષધી મહાનીયંત્રક ડીજીસીઆઈ તરફથી મંજૂરી મળી ચુકી છે.
દિલ્હી ખાતે ડીઆરડીઓના મુખ્યાલયમાં સોમવારે આયોજિત એક કાર્યક્રમમાં બંને કેન્દ્રીય મંત્રીઓએ અ દવાની પહેલી ખેપ લોન્ચ કરી. રક્ષા મંત્રાલયએ ૮ મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨-ડીઓકસી-ગ્લુકોઝ-(૨-ડીજી)ના કલીનીકલ ટ્રાયલમાં સામે આવ્યું હતું કે હોસ્પીટલમાં દાખલ દર્દીઓની ઓક્સીજન પર નિર્ભરતાને ઓછી કરવામાં મદદ મળે છે. સાથે જ આ દવાથી દર્દીઓ જલ્દી સાજા થાય છે.
ઓક્સિજનની સમસ્યા થશે દૂર
કોરોનાની ચાલી રહેલ બીજી લહેરને કારણે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સીજન અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે, આ દવાથી કોરોના સંક્રમણ સામે લડી રહેલા લોકોને બચાવવાની આશા છે કારણ કે આ દવા સંક્રમિત સેલ પર કામ કરે છે. આ કોરોના દર્દીઓમાં હોસ્પીટલમાં દાખલ રહેવાની અવધી પણ ઓછી કરે છે.
કેવી રીતે થશે દવાનો ઉપયોગ
૧ મેના રોજ ડીસીજીઆઈએ આ દવાને કોરોનાના મધ્યમ અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવાર માટે ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે. દવામાં સામાન્ય મોલીક્યુલ અને ગ્લુકોઝ હોવાને કારણે તેને દેશમાં મોટી સંખ્યામાં તૈયાર અને ઉપલબ્ધ કરી શકાશે. આ દાવાને કોરોનાની સારવારમાં અન્ય દવાઓની સહાયક માનવામાં આવે છે. તેને પાણીમાં ઓગાળીને પીવાની હોય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દવા સવારે અને સાંજે લેવામાં આવશે. જોકે, હજુ કિંમતો અંગે કોઈ જાણકારી મળી રહી નથી.
કેવી રીતે કામ કરે છે ૨-ડીજી
ડીઆરડીઓની ૨ ડીજી દવા વાયરસથી સંક્રમિત સેલમાં જમા થઇ જાય છે અને વાયરસની વૃદ્ધિને રોકે છે. વાયરસથી સંક્રમિત કોશોને પસંદ કરીને તેના પર કામ કરવું આ દાવાને ખાસ બનાવે છે.દવાની અસર અંગે કહેવામાં આવે છે કે જે લક્ષણો વાળા દર્દીઓને ૨ ડીજીથી સારવાર કરવામાં આવે છે તે જલદી સાજા થાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે આ દવાથી સારવાર કરતા દર્દીઓની સારવારનો સરેરાશ સમયની સરખામણીમાં ૨.૫ દિવસ ઓછો સમય લાગી રહ્યો છે. કલીનીકલ ટ્રાયલના પરિણામો મુજબ આ દવાથી હોસ્પીટલમાં દાખલ દર્દીઓ જલદી સાજા થાય છે અને તેમની ઓક્સીજન પર નિર્ભરતા પણ ઓછી થાય છે. ૨ ડીજી થી સારવાર મેળવી રહેલા દર્દીઓ મોટાભાગે આરટી-પીસીઆર રીપોર્ટ નેગેટીવ આવે છે.