કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવતા હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે. એ માટે ૧લી મેથી ગુજરાત સરકારે “મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી છે જેથી ગામડાંના લોકોની સુરક્ષા માટે ગામડા જ સજાગ બને અને જરૂરી નિયંત્રણ તેમજ સુવિધા વિકસાવે.કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. ગામમાં પ્રવેશીએ કે તરત જ આપણું સ્વાગત કરતું કોરોના મહામારી અંગે માહિતી આપતું અને જાગૃતિ ફેલાવતું પોસ્ટર જોવા મળે. મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગામે જાગૃતિ દાખવી આગમચેતીના પગલાંરૂપે જૂન માસ સુધીનું સચોટ આયોજન ઘડી કાઢ્યું છે જેથી કોરોના મહામારીને ટક્કર આપી તેની સામે બાથ ભીડી શકાય.મોટા અંગિયા ગ્રામ પંચાયતે એક નવી જ પહેલ કરી અન્ય ગામડાઓને એક નવો દ્રષ્ટિકોણ બતાવ્યો છે. તેમણે જે પરિવારનું રસીના બંને ડૉઝ લઈને સો ટકા વેક્સિનેશન થયું હોય તેમના ગ્રામ પંચાયતના વેરા માફ કર્યાં છે. જેથી લોકો આગળ આવી વેક્સિન લઈને પોતાના પરિવારને સુરક્ષિત બનાવે. ઉપરાંત ૫૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને જો ગામ બહાર દવા માટે કે કોઇ અગત્યની બાબતે ખરીદી કરવા જવું હોય તો પંચાયતની ગાડી નિ:શુલ્ક આપવામાં આવે છે જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમનું બહાર જવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય. કોરોનાએ હજુ ગામમાં બહુ દેખા દીધી નથી પરંતુ સાવધાનીના પગલાંરૂપે તેમજ લોકોને અગવડ ના પડે તે માટે ગામ લેવલે જ ૧૫ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ બીમાર વ્યક્તિઓ માટે અત્યારે સાત્વિક ભોજન સાથેની ટિફિન સેવા પણ શરૂ કરાઇ છે, તદુપરાંત હોમ ક્વૉરન્ટાઇન લોકો માટે પણ અગાઉથી જ ટિફિનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.