કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે ચાઇનાના ડો. વેનલિએંગે ડિસેમ્બર ૨૦૧૯માં દર્દીઓ પર રિસર્ચ કરી દર ૧૦૦૦માંથી ૮-૧૦ વ્યક્તિઓને આંખ મારફતે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું શોધ્યું હતું..નાક અને મોઢા મારફતે ફેલાતા આ ચેપી રોગનો વાઇરસ આંખથી પણ શરીરમાં ઘૂસી રહ્યો છે. જોકે, ડો. વેનલિએંગનું પણ બાદમાં ફેબ્રુઆરી માસમાં કોરોનામાં જ મોત થઇ ગયું હતું.
છ મહિના પહેલાં કોરોનામાં આંખના ચેપનો આ રેશિયો શોધી કઢાયો હતો. જોકે, ત્યારબાદ દેશ-દુનિયામાં કોરોનાના દર્દીઓમાં નોંધાયેલા ઉછાળા પરથી આ રેશિયો ચોક્કસપણે વધી ગયો હોવાનું નિષ્ણાંત તબીબોનું કહેવું છે. દરમિયાન સુરત શહેરના આઇ સ્પેશિયાલિસ્ટ તબીબોએ કોરાનાના આ કપરા કાળમાં નાક-મોઢાંની માફક આંખની પણ ખાસ કાળજી રાખવાનો લોકોને અનુરોધ કર્યો છે.
નાક-મોઢાને વાઈરસથી બચાવવા જેમ માસ્ક પહેરવામાં આવે છે તેમ આંખને ફેશ શિલ્ડ, પ્રોટેક્ટિવ આઇ ગ્લાસ કે ગોગલ્સથી કવર કરવા ખાસ અપીલ કરાઇ છે. જે માટે શહેરના આંખના તબીબોએ કોરોનાથી બચવા આંખની કાળજી અંગે, વધુ પડતી ઓનલાઇન એક્ટિવિટિઝને કારણે આંખ પર થયેલી અસરો અંગે ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કરી લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.