મુંબઈ : મુંબઇ પોલીસે 55 વર્ષથી વધુ ઉંમરના અને પહેલેથી જ કોઈ બીમારીથી પીડાતા કર્મચારીઓને રજા પર જવા માટે કહ્યું છે, જેથી તેઓને કોરોના વાયરસના ચેપથી બચાવી શકાય. મુંબઈમાં કોરોના વાયરસથી ત્રણ કર્મચારીઓનાં મોત બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે (28 એપ્રિલ) જણાવ્યું હતું કે, વિશ્લેષણમાં માલૂમ પડ્યું છે કે ત્રણ મૃત પોલીસ કર્મચારીઓ અને અન્ય પોલીસ કર્મચારી કે જેઓ ચેપ માટે સારવાર લઈ રહ્યા છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે.
તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને, અમે અમારા પોલીસકર્મીઓ અને અધિકારીઓની સુરક્ષા કરવાનું નક્કી કર્યું છે – જેમની ઉમર 55 વર્ષથી વધુ છે અને પહેલેથી જ કોઈ રોગથી ગ્રસ્ત છે. તેને રજા પર જવા કહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, વયને કારણે આ પોલીસ કર્મચારીઓને વધારે જોખમ રહેલું છે. તેથી, અમે આ દિવસોમાં તેમને રજા લેવાની મંજૂરી આપી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 20 અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 107 પોલીસને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમાંથી મોટાભાગના મુંબઈના છે. મુંબઈ પોલીસના 57 વર્ષીય હેડ કોન્સ્ટેબલનું સોમવારે કોવિડ -19 થી અવસાન થયું છે. આ ઉપરાંત 52 વર્ષિય હેડ કોન્સ્ટેબલનું રવિવારે બિમારીને કારણે મોત થયું હતું, જ્યારે 57 વર્ષિય કોન્સ્ટેબલનું શનિવારે અવસાન થયું હતું.